કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના રાજડા ગામે એકસાથે ૧૮ જેટલાં ઊંટોના શંકાસ્પદ સંજોગોમાં થયેલા મોતનો આખરે ભેદ ઉકેલાઈ ગયો છે. ઊંટોના અચાનક થયેલા મૃત્યુનું સાચું કારણ જાણવા માટે તેમના પોસ્ટમોર્ટમ (PM) સેમ્પલ લેવામાં આવ્યા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવતાં પશુપાલકો અને સ્થાનિક તંત્ર પણ ચોંકી ઊઠ્યું છે. રિપોર્ટ અનુસાર, તમામ ૧૮ ઊંટોના મોત 'લેન્ટેના પોઈઝનિંગ' એટલે કે અતિ ઝેરી વનસ્પતિ ખાવાના કારણે થયા હોવાનું સ્પષ્ટપણે સામે આવ્યું છે.
ઘટનાની વિગતો મુજબ, કચ્છ અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદની ભારે ખેંચ જોવા મળી રહી છે. વરસાદની અછત વચ્ચે પશુપાલકો પોતાના માલઢોર માટે ચારાની શોધમાં ભટકવા મજબૂર બન્યા છે. આવા જ એક કિસ્સામાં રાજડા ગામે પશુપાલક પોતાના ૧૮ જેટલાં ઊંટોને ચરાવવા માટે સીમ વિસ્તારમાં લઈ ગયા હતા. ચરાણ દરમિયાન ઊંટોએ અજાણતામાં ઝેરી વનસ્પતિ ખાઈ લીધી હતી, જેના થોડા જ સમયમાં તેમની તબિયત એકાએક લથડી હતી અને ટપોટપ ૧૮ ઊંટોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા.
આ કરૂણ બનાવ બાદ પશુપાલન વિભાગ અને નિષ્ણાતો દ્વારા ઊંટોનો PM રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે ઊંટોના શરીરમાં 'લેન્ટેના' નામની વનસ્પતિનું ઝેર ફેલાઈ ગયું હતું. લેન્ટેના એ એક અત્યંત આક્રમક અને ઝેરી વનસ્પતિ ગણાય છે, જેને ગુજરાતીમાં સ્થાનિક ભાષામાં સામાન્ય રીતે 'ગાંધારી', 'ગંધાતી ફૂલકાકરી' કે 'રાઈ મુનિયા' તરીકે ઓળખવામાં આવે છે. આ છોડ તેના રંગબેરંગી અને આકર્ષક ફૂલોના કારણે દેખાવમાં સુંદર લાગે છે, પરંતુ પર્યાવરણ અને ખાસ કરીને પશુઓ માટે તે અત્યંત ઘાતક અને હાનિકારક સાબિત થાય છે.
એકસાથે ૧૮ જેટલાં ઊંટોના મોત થવાના કારણે સ્થાનિક પશુપાલકોમાં ભારે ચિંતા અને ભયનો માહોલ વ્યાપી ગયો છે. એક તરફ વરસાદની ખેંચને કારણે લીલા ચારાની ભારે તંગી વર્તાઈ રહી છે, ત્યારે બીજી તરફ સીમ વિસ્તારમાં ઉગી નીકળેલી આવી ઝેરી વનસ્પતિ પશુઓનો ભોગ લઈ રહી છે. આ બનાવ બાદ પશુપાલન વિભાગ દ્વારા પશુપાલકોને પોતાના માલઢોરને ચરાવતી વખતે વિશેષ સાવચેતી રાખવા અને આવી ઝેરી વનસ્પતિથી દૂર રાખવા અપીલ કરવામાં આવી છે.