ભાવનગર જિલ્લામાં બનેલા ચર્ચાસ્પદ લઠ્ઠાકાંડ મામલે તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરી દેવામાં આવ્યો છે. મહિલા IPS અને IG ગગનદીપ ગંભીરના સીધા માર્ગદર્શન હેઠળ આ કાંડની કડક અને ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. આ કેસના સંદર્ભમાં નીલમબાગ અને વરતેજ પોલીસ સ્ટેશનના સ્ટાફ ઉપરાંત LCB (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) અને SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ના કર્મચારીઓ સહિત PI અને PSI કક્ષાના અધિકારીઓના નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, લઠ્ઠાકાંડના અસરગ્રસ્તોની સારવાર કરનારા તબીબોને પણ નિવેદન આપવા માટે DSP કચેરી ખાતે બોલાવવામાં આવ્યા છે. વહીવટી અને પોલીસ તંત્રની નિષ્કાળજી સામે કડક પગલાં ભરતા અત્યાર સુધીમાં બે PI અને પાંચ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
બીજી તરફ, આ કરૂણ ઘટના વચ્ચે ભાવનગરની હોસ્પિટલમાંથી રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. આ નકલી ઝેરી દારૂકાંડમાં કુલ ૬૩ લોકો અસરગ્રસ્ત થયા હતા, જેમાંથી દુર્ભાગ્યવશ ૧૩ લોકોના મોત નીપજ્યા છે. કુલ ૪૯ દર્દીઓને તાત્કાલિક ધોરણે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરીને સઘન સારવાર આપવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે આપેલી વિગતો મુજબ, હવે હોસ્પિટલમાં માત્ર એક જ દર્દી સારવાર હેઠળ છે અને તેની સ્થિતિ પણ સંપૂર્ણપણે સ્થિર છે. ૪૮ દર્દીઓને સાજા થતાં રજા આપી દેવામાં આવી છે. છેલ્લે માત્ર એક જ દર્દી સારવાર હેઠળ હોવાથી અને તેની હાલત સુધારા પર હોવાથી તંત્ર અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application