શહેરના કોઠારીયા રોડ પર રણુજા મંદિર પાસે યુવાન પર પત્ની સહિતના સાસરીયાઓએ ધોકા વડે હુમલો કર્યો હતો. તું કેમ મારી સગાઈ થવા દેતો નથી કહી સાળાએ ગાળો ભાંડ્યા બાદ સાસરીયાઓએ મારમાર્યો હતો.
રણુજા મંદિર નજીક લાપાસરી રોડ પર વેલનાથપરામાં રહેતા અશોકભાઈ શીવાભાઈ ઝરમરિયા(ઉ.વ.૪૩) એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પત્ની નિરૂબેન ઝરમરીયા, સાસુ નાનુબેન, સસરા ધીરુભાઈ, સાળા દેવ ( બધા રહે. વેલનાથપરા, લાપાસરી રોડ) ના નામ આપ્યા છે. યુવાને જણાવ્યું હતું કે, તેની પત્ની નીરુબેન છેલ્લા દોઢ મહિનાથી માવતરે રિસામણે છે. સંતનમાં દીકરો કિશોર (ઉ.વ.૧૨) પણ પત્ની સાથે જતો રહ્યો છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈ તા.૧૪- ૯-૨૦૨૬ ના રોજ રાત્રીના 9:30 વાગ્યે તે કોઠારીયા રોડ પર રણુજા મંદિર સામે આવેલી બાઘેશ્વરી બાલાજી હનુમાનના મંદિર પાસે ઉભો હતો. ત્યાં તેની પત્ની નીરું, સાસુ નાનુબેન, સાળો દેવો આવ્યા હતા. સાળાએ આવીને સીધો જ યુવાનનો કાંઠલો પકડી કહેવા લાગ્યો હતો કે, તું કેમ મારી સગાઈ થવા દેતો નથી અને મારી બહેન સાથે ઝઘડો કરે છે કહી યુવાનને ગાળો આપવા લાગ્યો હતો. સાસુ અને પત્ની પણ ગાળો આપી ઢીકાપાટુનો માર મારવા લાગ્યો હતો. સાળાએ સસરા ધીરુભાઈને ફોન કરીને બોલાવતા તેઓ રીક્ષા લઈને આવ્યા હતા. સસરાએ રિક્ષામાંથી બે લાકડાના ધોકા કાઢી ચારેયએ મળી યુવાનને ધોકા- લાકડી વડે મારમાર્યો હતો. ઘવાયેલા યુવાનને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જયા યુવાનને હાથમાં કાંડાના ભાગે ફ્રેક્ચર થયાનું નિદાન થયુ હતું. બનાવ અંગે યુવાનની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.