જામનગર: લાલપુર નજીક મેઘપરમાં જમીન સોદાના નામે એક પરપ્રાંતિય કોન્ટ્રાક્ટર યુવાન સાથે રૂપિયા પાંચ લાખની છેતરપિંડી
પ્લોટ અને રૂમ-ઓફિસ વેચાણનો વિશ્વાસ અપાવી રકમ ટ્રાન્સફર કરાવી, બાદમાં અન્યને દસ્તાવેજ કરી આપ્યાનો મેઘપરના શખ્સ સામે આરોપ
જામનગર નજીકના મેઘપર (પડાણા) વિસ્તારમાં જમીનના સોદાના નામે પાંચ લાખ રૂપિયાની છેતરપિંડી થયાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં દિનેશસિંહ શીવુભા કંચવા સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૧૬(૨) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ફરિયાદ મુજબ કૃષ્ણકાંત આશિકાપ્રસાદ યાદવ હાલ જામનગરના ઢીચડા રોડ સ્થિત રવિપાર્ક ટાઉનશીપમાં રહે છે અને મોટી ખાવડી વિસ્તારમાં ખાનગી કંપની મારફતે કોન્ટ્રાક્ટનું કામ કરે છે. તેઓને ઓળખીતાં મારફતે મેઘપર ગામે આવેલી ઔદ્યોગિક જમીન તથા રૂમ-ઓફિસમાં રોકાણ અંગે માહિતી આપવામાં આવી હતી.
ફરિયાદ મુજબ આરોપી દિનેશસિંહ કંચવાએ મેઘપર ગામે સર્વે નંબર-૧૦ની બિનખેતી થયેલી ઔદ્યોગિક જમીનના પ્લોટ નં. ૨૧ અને ૨૨ બતાવ્યા હતા. સ્થળ પર ૨૩ રૂમ તથા એક ઓફિસ હોવાની માહિતી આપી કુલ મિલકતની કિંમત રૂ. ૮૦ લાખ નક્કી કરવામાં આવી હતી. શરૂઆતમાં લોન થયા બાદ બાકીની રકમ ચૂકવવાની વાત કરવામાં આવી હતી.
ત્યારબાદ તા. ૧૮ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ ફરિયાદી પાસેથી અલગ અલગ બેંક ખાતાઓ મારફતે કુલ રૂ. ૫ લાખ ભાવનાબેન વાય. પંડ્યા ના કેનેરા બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. ફરિયાદ મુજબ આ રકમ જમીનના સોદા પેટે લેવામાં આવી હતી.
ફરિયાદમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે બાદમાં વધુ રૂ. ૨૦ લાખની માંગણી કરવામાં આવી હતી અને જે જમીનનો સોદો ફરિયાદી સાથે થયો હોવાનું કહેવાતું હતું તે જ જમીન અન્ય વ્યક્તિને વેચી તેમના નામે રજીસ્ટર દસ્તાવેજ કરી આપવામાં આવ્યો હતો તેમજ ફરિયાદીની રૂ. ૫ લાખની રકમ પણ પરત આપવામાં આવી નહોતી.
આ સમગ્ર મામલે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ વધુ તપાસ એએસઆઈ એમ.એલ. જાડેજા ચલાવી રહ્યા છે.