જામનગરમાંં રીક્ષા ચાલક અને પરિણીત મહીલા વચ્ચે પ્રેમસંબંધમાં બે પક્ષ વચ્ચે તકરાર
રીક્ષા ચાલકે મહિલાના માથામાં પાઇપ ફટકાર્યો, ચાલક પર છરીથી હુમલાની રાવ
ગોકુલનગર પાણાખાણનો બનાવ: સામ સામી ફરિયાદ નોંધાતા પોલીસની તપાસ
જામનગર શહેરના ગોકુલનગર પાણાખાણ વિસ્તારમાં રહેતા રિક્ષાચાલક અને પરણિત મહિલા વચ્ચે છેલ્લા બે-ત્રણ મહિનાથી પ્રેમ સંબંધ ચાલતા હોવાનું સામે આવ્યું છે. દરમિયાન બંને વચ્ચે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં સીટી-સી ડિવિઝન પોલીસ મથકે સામસામે ફરિયાદો નોંધાતા વિસ્તારમાં ચર્ચા જાગી છે.
શહેરના ગોકુલનગર પાણાખાણ શેરી નંબર-૭માં રહેતી કમળાબેન મહેન્દ્રભાઈ ગોરી (ઉ.વ.૪૪)એ સીટી-સી પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ અનુસાર તેણીને પ્રિતેશભાઈ બિપીનભાઈ ગોસ્વામી સાથે છેલ્લા કેટલાક મહિનાથી સંબંધ હતો અને બંને સાથે રહેતા હતા.આ દરમિયાન તા.૨૫ મેના રોજ બપોરના સમયે બંને વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડા દરમિયાન પ્રિતેશભાઈએ કમળાબેનને ગાળો આપી તેમના માથાના ભાગે પાઇપ મારી દેતાં લોહી નીકળતી ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે પોલીસે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બીજી તરફ રિક્ષાચાલક પ્રિતેશભાઈ બિપીનભાઈ ગોસ્વામીએ પણ વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યાનુસાર કમળાબેનના પુત્ર ક્રિષ્નાભાઈ મહેન્દ્રભાઈ ગોરી તેમજ ભલો અને પ્રથમ નામના બે શખ્સોએ પ્રિતેશભાઈ સાથે ઝઘડો કરી ગાળો આપી હતી. ત્યારબાદ ત્રણેય જણાએ મળીને પ્રિતેશભાઈના માથા અને કપાળના ભાગે છરીના ઘા મારી ઇજા પહોંચાડી હતી. ઉપરાંત તેમની રિક્ષાના કાચ તોડી નુકસાન પહોંચાડ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.આ બંને બનાવ અંગે સીટી-સી ડિવિઝન પોલીસ મથકના મહિલા પી.એસ.આઈ. એમ.વી. દવે વધુ તપાસ હાથ ધરી છે.