જામનગરમાં ૫ લાખની ઉઘરાણીના મામલે ડ્રાઇવર પર હિંચકારો હુમલો
ચાર શખ્સોએ પાઇપ-ધોકા અને છરીથી માર માર્યો : હાથ-પગમાં ફ્રેક્ચર
જામનગરના રામેશ્ર્વરનગર નવજીવન સોસાયટી પાસે પૈસાની ઉઘરાણીમાં એક યુવાન પર પાઇપ, ધોકા અને છરી વડે હુમલો કરીને ફ્રેકચર સહિતની ઇજા પહોચાડયાની ચાર સામે ફરીયાદ કરવામાં આવી છે.
જામનગરમાં ૫ લાખની ઉઘરાણીના મામલે એક ડ્રાઇવર પર ચાર શખ્સોએ હિંચકારો હુમલો કરી બંને પગ તથા હાથમાં ગંભીર ઇજાઓ પહોંચાડ્યાની ફરિયાદ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે. હુમલામાં ઘવાયેલા જયપાલસિંહ વિક્રમસિંહ ચુડાસમા (ઉ.વ.૪૨, રહે. ગાયત્રીનગર, શેરી નં.૩, સમેશ્વરનગર, જામનગર) હાલ જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ફરિયાદ મુજબ, જયપાલસિંહે આશરે એક વર્ષ પહેલાં પોતાના મિત્ર મહીપાલસિંહ એ. રાણાને ૫ લાખ આપ્યા હતા. આ રકમ પરત મેળવવા માટે તેઓ અવારનવાર ફોન તથા રૂબરૂ ઉઘરાણી કરતા હતા. તા.૧૩ ઓગસ્ટના રોજ બપોરે મહીપાલસિંહે ફોન કરી પોતાની રાણા એન્ટરપ્રાઇઝની ઓફિસે બોલાવતાં જયપાલસિંહ ત્યાં પહોચ્યા હતા.
એ દરમિયાન આરોપીઓ લોખંડના પાઇપ અને લાકડાના ધોકા લઇ ઘસી આવ્યા હતા. અને યુવાન પર હુમલો કરી ગંભીર ઇજાઓ પહોચાડી હતી. એક શખ્સે ફરીયાદીને છરી વડે હાથમાં છરકા જેવી ઇજા કરી હતી આરોપીએ આના બંને પગ ભાંગી નાખો, આખી જિંદગી ચાલવો ન જોઈએ તેમ કહેતાં શખ્સો તુટી પડયા હતા. ફ્રેકચર સહિતની ઇજા પહોચતા યુવાનને સારવારમાં ખસેડાયો છે.
આ બનાવ અંગે જયપાલસિંહ વિક્રમસિંહ ચુડાસમા દ્વારા સીટી-બી ડીવીઝનમાં મહિપાલસિંહ આશિષસિંહ રાણા તથા વિક્રમસિંહ આશિષસિંહ રાણા અને બે અજાણ્યા ઇસમો વિરુઘ્ધ જુદી જુદી કલમ મુજબ ફરીયાદ નોંધાવી હતી.