જામનગર: સપડા-મીયાત્રા રોડ પર ટ્રેક્ટરચાલક પર હુમલો
ત્રણ સામે ગુનો નોંધાયો : ટ્રેક્ટર રોકાવી પાઇપ-ધોકાથી માર માર્યો
જામનગર તાલુકાના સપડા ગામથી મીયાત્રા માર્ગ પર ટ્રેક્ટરચાલક પર હુમલો કરી ઈજાઓ પહોંચાડવાના બનાવમાં ત્રણ શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદ મુજબ મીયાત્રા ગામના રહેવાસી અને ખેતીકામ કરતા પ્રવીણસિંહ રણજીતસિંહ કેર (ઉ.વ.૩૮) ૧૦ જુલાઈના રોજ સપડા ગામે ખેડૂતોના ખેતરમાં ટ્રેક્ટર દ્વારા મગફળી અને ડુંગળીનું વાવેતર કરીને સાંજના સુમારે ટ્રેક્ટર લઈને પોતાના ગામ પરત ફરી રહ્યા હતા. ત્યારે સપડાની ગોળાઈથી મીયાત્રા જવાના કાચા માર્ગ પર મોટરસાયકલ પર આવેલા સપડા ગામના અનિરુદ્ધસિંહ ઉર્ફે અનીયો ભુપતસિંહ દેદા, જયેન્દ્રસિંહ કનકસિંહ જાડેજા અને ચિરાગ રાવલે તેમનું ટ્રેક્ટર અટકાવ્યું હતું.
ફરિયાદમાં જણાવ્યા મુજબ અનિરુદ્ધસિંહે ફરિયાદી સાથે ઝપાઝપી કરી પોતાની પાસે રહેલા લોખંડના પાઇપ વડે જમણા પગ પર ઘા કર્યો હતો. ત્યારબાદ ચિરાગ રાવલે લાકડાના ધોકાથી જમણા હાથના પોચા પર પ્રહાર કર્યો હતો, જ્યારે જયેન્દ્રસિંહે લાતો મારી હતી, દરમ્યાનમાં ફરીયાદી ત્યાથી ટ્રેકટર લઇને નીકળી ગયા હતા અને થોડે દુર જઇ ૧૧૨ જનસેવાને ફોન કર્યો હતો દરમ્યાન સારવાર માટે જી.જી. હોસ્પીટલ ખસેડવામ) આવ્યા હતા જયા તેમને ફ્રેકચર સહિતની ઇજા પહોચી હોવાનું ઘ્યાનમાં આવ્યુ હતું.
આ બનાવ અંગે પોલીસે અનિરુદ્ધસિંહ ઉર્ફે અનીયો ભુપતસિંહ દેદા, જયેન્દ્રસિંહ કનકસિંહ જાડેજા અને ચિરાગ રાવલ સામે મારામારી, ઈજા પહોંચાડવા, પરસ્પર મદદગારી તેમજ જાહેરનામાના ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.