જામનગરમાં વિકટોરીયા પુલ નીચે મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ, પાણીનો વેડફાટ
એર વાલ્વ તૂટી ગયો, બબ્બે વખત રીપેરીંગ બાદ લાઇન પૂર્વવત થઇ
શહેરના અમુક વિસ્તારોમાં સંભવત: ૩ થી ૪ કલાક પાણી વિતરણ મોડું થશે
જામનગરમાં વિકટોરીયા પુલ નીચે પાણીની મુખ્ય પાઇપલાઇનનો એરવાલ્વ તૂટી ગયો હતો. આથી પાણીનો વેડફાટ થયો હતો. બબ્બે વખત રીપેરીંગ બાદ પાઇપલાઇન પૂર્વવત થઇ હતી. પાઇપલાઇનમાં ભંગાણથી શહેરના અમુક વિસ્તારોમાં સંભવત: ૩ થી ૪ કલાક પાણી વિતરણ મોડું થવાની શકયતા છે.
જામનગરમાં વિકટોરીયા પુલ નીચે રંગમતી નદીના પટમાં આવેલીં ખીજડીયા થી આવતી પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ગઇકાલે બપોરે ભંગાણ સર્જાયું હતું. પાઇપલાઇનનો એરવાલ્વ તૂટી ગયો હતો. આથી પાણીનો વેફડાટ શરૂ થયો હતો. બનાવની જાણ થતાં મનપાની વોટરવર્કસ વિભાગના અધિકારીઓએ તાકીદે પાઇપલાઇન બંધ કરી એરવાલ્વની રીપેરીંગ કામગીરી હાથ ધરી હતી. તૂટી ગયેલા એુરવાલ્વ પર ચાપડો મારવામાં આવ્યો હતો. પરંતુ રીપેરીંગનો આ પ્રયાસ કારગત રહ્યો ન હતો. પાઇપલાઇનમાંથી પાણી વહેવાનું ચાલુ રહ્યું હતું. આથી પુન: રીપેરીંગ હાથ ધરવામાં આવ્યું હતું. પાઇપલાઇનનું રીપેરીગ છેક રાત્રીના થયું હતું. શહેરને પાણી પુરૂ પાડતી પાઇપલાઇનમાં ભંગાણથી પાણી વિતરણમાં વિક્ષેપ પડવાની સંભાવના છે. આટલું જ નહીં શહેરના અમુક વિસ્તારોમાં ૩ થી ૪ કલાક પાણી વિતરણ મોડું થવાની શકયતા વોટરવર્કસ વિભાગના અધિકારીઓએ વ્યકત કરી છે. એકબાજુ શહેરમાં વરસાદમાં વિલંબથી પાણીની મોકાણ સર્જાઇ રહી છે. ત્યારે મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણથી પાણીનો વેડફાટ થયો છે. આથી પાણી વિતરણમાં અવરોધની શકયતા પણ નકારી શકાતી નથી.