દ્વારકા: કલ્યાણપુરના ભાટવડીયા ગામે રહેણાંક મકાનમાં ઘરફોડી
૧.૮૦ લાખની રોકડ રકમ ચોરાઈ
કલ્યાણપુર તાલુકાના ભાટવડીયા ગામે રહેતા એક આસામીના રહેણાંક મકાનમાંથી તસ્કરોએ દિવસના સમયગાળામાં ખાતર પાડી, અહીં રાખવામાં આવેલી રૂ. ૧.૮૦ લાખની રોકડ રકમ ચોરી થયાનો બનાવ ખુલવા પામ્યો છે.
આ સમગ્ર પ્રકરણ અંગે કલ્યાણપુર તાલુકાના ભાટવડીયા ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા બાબુભાઈ કેશાભાઈ સોનગરા ગામના ૪૮ વર્ષના સતવારા યુવાને કલ્યાણપુર પોલીસ મથકમાં જાહેર કરેલી વિગત મુજબ તેમના રહેણાંક મકાનમાં સોમવાર તા. ૨૦ ના રોજ સવારના આશરે આઠેક વાગ્યાથી સાંજના આશરે સવા છ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરોએ તેમના રહેણાંક મકાનના ઉપરના નળિયા ઉંચકાવી અને તેમના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર અપ પ્રવેશ કર્યો હતો.
અહીં તેમણે રાખેલા પતરાની ટાંકીમાં કાપડની થેલીમાં રહેલા રૂ. ૧,૮૦,૦૦૦ ની રકમ આ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હોવાનું આ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણ સંદર્ભે કલ્યાણપુર પોલીસ અજાણ્યા તસ્કર સામે બી.એન.એસ.ની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. કે.પી. ઝાલા દ્વારા હાથ ધરવામાં આવી છે.