દ્વારકાના આરંભડામાં આધેડની હત્યા કરી રેતીમાં લાશને દાંટી દીધી
મૃતદેહ મળી આવતા પંથકમાં ભારે ચકચાર : પુર્વ જમાઇ સહિત ત્રણ સામે ફરીયાદ
દેવભૂમિ દ્વારકાના આરંભડા દરીયા કાંઠેથી એક આધેડનો શંકાસ્પ્દ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો જેમાં આધેડને ગળે ટુંપો દઇ મોતને ઘાટ ઉતારી દીધા બાદ લાશને રેતીમાં દાંટી દેવામાં આવી હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
મીઠાપુર વિસ્તારના આરંભડા ગામે રહેતા ગોવિંદભાઇ ભનુભાઇ મકવાણા (ઉ.વ.૫૫)ની હત્યા કરેલો મૃતદેહ રેતીમાં દાંટેલી હાલતમાં મળી આવ્યો હતો, જે અંગેની જાણ થતા પોલીસ ટુકડી દરીયાકાંઠે દોડી ગઇ હતી અને પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી આ મામલે તપાસનો ધમધમાટ આદર્યો હતો.
દરમ્યાનમાં અરવિંદભાઇ મકવાણા દ્વારા મીઠાપુર પોલીસ સ્ટેશનમાં આરંભડાના જય વિજય પરમાર, રામા ભીખુ વાઘેલા અને રમેશ લખમણ પરમાર નામના ૩ શખ્સો વિરુઘ્ધ બીએનએસ કલમ ૧૦૩(૧), ૬૧(૨), ૨૩૮, ૩, ૫ તથા જીપીએકટ મુજબ ફરીયાદ નોંધાવી હતી.
જેમાં જણાવ્યા મુજબ ફરીયાદીની ભત્રીજી સંગીતાબેનના આરોપી જય સાથે લગ્ન થયેલ હોય અને અવાર નવાર દુ:ખ ત્રાસ આપતો હોય જેથી બે મહિના પહેલા છુટાછેડા થયેલ અને આરોપીને ફરીયાદીના ભાઇ ગોવિંદભાઇ તથા તેના પરિવાર ઉપર ખાર રાખીને ફરીયાદીના ભાઇ દરરોજ સાંજે માછીમારી કરવા જતા હોય એ બાબતની આરોપીને જાણ હોય જેથી કાવતરુ રચી ફરીયાદીના ભાઇ બાઇક લઇને આરંભડા સીમ દરીયા કાંઠે જતા આરોપીઓએ તેની પાછળ જઇ ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારી ગળેટુંપો દઇ મારી નાખી રેતીમાં ખાડો કરી દાંટી દઇ પુરાવાનો નાશ કરવા પોતાનો સમાજ ઇરાદો પાર પાડયો હતો.