જામનગર: ધ્રોલ તાલુકાના ભૂચરમોરી ખાતે સ્વાતંત્ર્યદિનની જિલ્લા કક્ષાની ઉજવણીનું રીહર્સલ કરાયું
જામનગર જિલ્લા કલેકટર પી.બી.પંડ્યાએ રિહર્સલનું નિરીક્ષણ કરી લગત વિભાગોને જરૂરી સૂચનો આપ્યા
જામનગર તા.૧૩ ઓગસ્ટ, રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારીમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતામાં જામનગર જિલ્લા કક્ષાના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ધ્રોલ તાલુકાના ભૂચરમોરી ખાતે કરવામાં આવશે. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી સુચારૂ અને ભવ્ય રીતે સંપન્ન થાય તેના ભાગરૂપે જામનગર જિલ્લા કલેકટર પી.બી.પંડ્યાની ઉપસ્થિતમાં ભૂચરમોરી ખાતે સમગ્ર કાર્યક્રમ અંગે રીહર્સલ યોજાયું હતું.
રિહર્સલ દરમિયાન ધ્વજવંદન, પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો, મહાનુભાવોના આગમન સહિતની વિવિધ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. કલેકટરે સંબંધિત વિભાગોના અધિકારીઓને કાર્યક્રમની તમામ તૈયારીઓ સમયસર અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવા સૂચના આપી હતી.
આ દરમિયાન નિવાસી અધિક કલેકટર વિમલ ચૌધરી, જામનગર ગ્રામ્ય પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરીયા, વિવિધ વિભાગોના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.