જામનગર: હરતા ફરતા પશુ દવાખાનાની સેવાના ૬ વર્ષ પૂર્ણ
જામનગર જિલ્લાના ૩.૭૮ લાખથી વધુ પશુઓને મળી વિનામૂલ્યે સફળ સારવાર
જામનગર તા.૦૨, હરતા-ફરતા પશુ દવાખાના સેવાને સફળતાપૂર્વક ૬ વર્ષ પૂર્ણ થતા જામનગર ૧૯૬૨ ટીમ દ્વારા કેક કાપીને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ વિશેષ પ્રસંગે વિવિધલક્ષી પશુ ચિકિત્સાલય જામનગરના મદદનીશ પશુપાલન નિયામક ડૉ. જીવાણી, પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર પિયુષ પરમાર તેમજ હરતા-ફરતા પશુ દવાખાનાના તમામ પશુ ચિકિત્સકો અને પાયલોટ સ્ટાફે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
ઘરઆંગણે પશુ સારવાર પહોંચાડવાના મુખ્ય હેતુ સાથે કાર્યરત આ સેવા પશુ આરોગ્ય ક્ષેત્રે વધુ સરળ, સુલભ અને અસરકારક સાબિત થઈ રહી છે.જામનગર જિલ્લામાં આ સેવાની શ્રેષ્ઠ કામગીરીના આંકડા પર નજર કરીએ તો, છેલ્લા એક વર્ષ દરમિયાન હરતા-ફરતા પશુ દવાખાના દ્વારા કુલ ૫૧,૯૯૩ પશુ-પક્ષીઓની સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી છે. જેમાં ૨૩,૯૨૨ ગાયો, ૧૯,૨૧૧ ભેંસો, ૩,૯૪૧ બકરીઓ, ૩,૮૧૬ ઘેટાં તેમજ ૯૪૧ કુતરાઓ ઉપરાંત ઘોડા અને કબૂતર સહિત અન્ય વિવિધ પશુ-પક્ષીઓનો પણ સમાવેશ થાય છે. આ સઘન કામગીરી દ્વારા જામનગરની ટીમે અનેક અબોલ જીવોના જીવ બચાવવામાં મહત્વપૂર્ણ અને પ્રશંસનીય યોગદાન આપ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ જામનગર જિલ્લામાં પશુપાલકો માટે કુલ ૨૧ હરતા-ફરતા પશુ દવાખાના કાર્યરત છે. આજ દિન સુધીમાં જામનગર જિલ્લાના શેડ્યૂલ ગામોમાં કુલ ૩,૭૮,૦૬૪ પશુઓની સફળ સારવાર કરીને આ યોજના પશુપાલકો માટે સાચે જ આશીર્વાદરૂપ સાબિત થઈ છે.
જામનગર પ્રોગ્રામ મેનેજર ડૉ. શોએબ ખાન દ્વારા જિલ્લાના તમામ પશુપાલકોને આ સેવાનો મહત્તમ લાભ લેવા અપીલ કરવામાં આવી છે. પશુઓની તાત્કાલિક અને યોગ્ય સારવાર માટે પશુપાલકો સોમવારથી શનિવાર દરમિયાન સવારે ૮:૦૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી '૧૯૬૨' હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી આ નિઃશુલ્ક સેવાનો લાભ મેળવી શકે છે.