ખંભાળીયા-જામરાવલ પાલિકાના હોદ્દેદારોની ચૂંટણી તા. ૧૯ મે ના યોજાશે
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં જામ રાવલ તથા ખંભાળીયા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ યોજાઇ હતી જેમાં જામ રાવલમાં ૨૪ બેઠકમાંથી ૨૧ બેઠક સાથે કોંગ્રેસ પ્રથમ વખત લાંબા સમય બાદ બહુમતિ મળી હતી.
જયારે ખંભાળીયામાં ભાજપ ૩૬માંથી ૩૦ બેઠકોની તોતિંગ બહુમતી મળી હતી.બન્ને નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી આગામી તા.૧૯ મેના મંગળવારે પાલિકા સભાગૃહમાં બપોરે ૧૨ વાગ્યે યોજવામાં આવશે.
ખંભાળીયા નગરપાલિકાની ચૂંટણી પ્રાંત અધિકારી કે.કે.કરમટા કરશે તથા જામ રાવલમાં ચૂંટણી પ્રક્રિયા પ્રાંત અધિકારી દ્વારકા અમોલ આવટે દ્વારા કરવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છેકે, ખંભાળીયા પાલિકામાં ગત ટર્મમાં પ્રમુખ લોહાણા હતા.
કારોબારી બ્રાહ્મણ તથા ઉપપ્રમુખ ગઢવી હતા જ્યારે આ વખતે પાર્લામેન્ટરી બોર્ડ એકાદ દિમાં મળશે ગાંધીનગર તેમાં નક્કી થશે. પ્રમુખ પદ બક્ષી અનામત છે જેથી સતવારા,આહીર, ગઢવી, રાજગોર બ્રાહ્મણ, પ્રજાપતિ વગેરે જ્ઞાતિઓમાંથી પસંદગી થશે. ઉપપ્રમુખ કારોબારી, દંડક તથા શાસક નેતામાં પણ અન્ય જ્ઞાતિઓના સમાવેશ થશે. સતવારા જ્ઞાતિ પ્રમુખ પદે આવે તેવી સંભાવના પ્રબળ હોવાનુ રાજકિય નિષ્ણાંતો માની રહયા છે.જયારે જામ રાવલ પાલિકામાં લાંબા સમય પછી કોંગ્રેસનું સાશન હોય અહીં પણ ઉપરથી નામ ફાઇનલ થઈને આવે તે પછી જાહેરાત થશે. કોળી જ્ઞાતિની અહીં બહુમતી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ખંભાળિયા નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ૩૬ પૈકી ૩૦ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ વિજય મેળવી ધીંગી બહુમતી પ્રાપ્ત કરી હતી. જ્યારે રાવલ નગરપાલિકામાં કોંગ્રેસે સ્પષ્ટ બહુમતી મેળવતા આગામી સપ્તાહે નવા હોદ્દેદારો સુકાન સંભાળશે.