દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 'હર ઘર તિરંગા' અભિયાન હેઠળ વિવિધ આયોજનો સંદર્ભે કલેકટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
આગામી તા.૯ થી ૧૭ ઑગસ્ટ દરમ્યાન સમગ્ર રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવનાર છે. આ સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યોજાનાર વિવિધ કાર્યક્રમોના સુઆયોજન માટે ખંભાળિયામાં જિલ્લા સેવા સદન ખાતે કલેકટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.
કલેકટરે હર ઘર તિરંગા અંતર્ગત ગ્રામ્ય, તાલુકા અને નગરપાલિકા તેમજ જિલ્લા કક્ષાએ થનાર તિરંગા યાત્રાના આયોજન અંગેની વિગતો મેળવી જરૂરી સૂચનો કર્યાં હતાં અને સ્થાનિક નાગરિકો તેમજ શાળા કોલેજોના વિદ્યાર્થીઓની ભાગીદારી સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. વધુમાં તિરંગા કોન્સર્ટ, વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ, કોલેજોમાં વિવિધ એક્ટિવિટીઝના આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષક મિત રુદલાલ, પ્રાંત અધિકારી કે.કે.કરમટા, નાયબ કલેકટર રિદ્ધિબ રાજ્યગુરુ, જિલ્લા યુવા વિકાસ અધિકારી પરબત હાથલિયા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ જોડાયા હતા.