જામનગર: જામજોધપુર તાલુકા શાળા નં-૧ માં મહાકાય વૃક્ષ બન્યું જોખમી
જામજોધપુરની તાલુકા શાળા નંબર-૧ ના પ્રાગણમાં આવેલું એક વિશાળ પીપળાનું વૃક્ષ હાલ સ્થાનિક રહીશો, વેપારીઓ અને શાળાના માસૂમ બાળકો માટે આફત સમાન બન્યું છે. આ મહાકાય વૃક્ષની ડાળીઓ ભારે નમી ગઈ હોવાના કારણે ગમે ત્યારે મોટી હોનારત સર્જાઈ શકે તેવી ભીતિ સેવાઈ રહી છે. આ પૂર્વે પણ આ વૃક્ષની મસમોટી ડાળીઓ બે વખત તૂટી પડી હતી, પરંતુ સદનસીબે તે સમયે આજુબાજુ કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. હાલ ચોમાસાની ઋતુ બરાબર માથે હોવાથી પવન અને વરસાદના કારણે આ નમેલી ડાળીઓ ધરાશાયી થવાનો ભય ઓર વધી ગયો છે, જેના લીધે શાળામાં ભણતા બાળકો અને ત્યાંથી પસાર થતા રાહદારીઓના જીવ અધ્ધર થઈ ગયા છે.
સ્થાનિક રહીશો દ્વારા આ ગંભીર સમસ્યા અંગે જામજોધપુર નગરપાલિકા તેમજ તાલુકા ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગને મહિનાઓ પહેલાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં, તંત્રના બહેરા કાને હજુ સુધી રજૂઆત સંભળાઈ નથી. તંત્ર અને ડિઝાસ્ટર વિભાગની આ ઘોર બેદરકારી અને આળસુ નીતિને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જવાબદાર અધિકારીઓનું પેટનું પાણી પણ હલતું નથી, જેથી સ્થાનિકોમાં ચર્ચા છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના ઘટે તેની રાહ જોઈને બેઠું છે? લોકમાંગ ઉઠી છે કે કોઈ માસૂમ બાળક કે નાગરિક આ જોખમી વૃક્ષનો ભોગ બને તે પહેલાં તંત્ર તાકીદે જાગે અને આ ભયજનક ડાળીઓનું ટ્રીમિંગ કરાવે.