રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જામનગરના લાખાબાવળ ખાતે વેદ ગર્ભવિહારનું લોકાર્પણ કર્યું
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જામનગર નજીક લાખાબાવળ ગામે વેદ ગર્ભવિહારનુ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલે સંસ્થા ખાતે કાર્યરત થનારા ગૌશાળા તેમજ કન્સલ્ટેશન રૂમ, પંચકર્મ રૂમ, માઇનર ઓપરેશન થિયેટર, સંસ્કાર શાળા વગેરે સ્થળોની મુલાકાત લઈ ઉપલબ્ધ સુવિધાઓ અને સેવાઓની વિગતો મેળવી હતી. રાજ્યપાલે આ મુલાકાત દરમ્યાન સંસ્થાનો પરિચય મેળવ્યો હતો, અને સંચાલકો સાથે સંવાદ કરીને પ્રવર્તમાન સમયમાં સંસ્થાની ભૂમિકા વિશે અવગત થયા હતા. હાલના સંજોગોમાં સંસ્થાના સામાજિક ઉત્તરદાયિત્વ અંગે તેમણે ઉંડાણપૂર્વકની જાણકારી મેળવી હતી અને વિવિધ સ્તરે તેની ઉપયોગિતાથી વાકેફ થયા હતા.
રાજ્યપાલ સાથે રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી રીવાબા જાડેજા, જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યા, જામનગર મહાનગર પાલિકાના કમિશનર દીપેશ કેડિયા, જિલ્લા વિકાસ અધિકારી નિશા, ગૌ વિશ્ર વિદ્યાપીઠના કુલપતિ ડો.હિતેશ જાની, આયુર્વેદ વિભાગના વૈદ્ય, અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે જામનગરના એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ કેન્દ્રનું લોકાર્પણ કરાયું:
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જામનગરમાં સરદાર પટેલ એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણ માટે તૈયાર કરવામાં આવેલ પ્રાકૃતિક ખેડૂત હાટનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે તેમણે જિલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. અને જામનગર જિલ્લાની પ્રાકૃતિક કૃષિ અંગેની માહિતી મેળવી હતી.
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા આત્મા પ્રોજેક્ટના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેમની રસાયણમુક્ત પેદાશોના સીધા વેચાણ માટે સ્થાયી બજાર ઉપલબ્ધ કરાવવાના હેતુથી આ કૃષિ વેચાણ કેન્દ્રનો આરંભ કરવામાં આવ્યો છે. આ કેન્દ્ર દ્વારા જામનગરના વિવિધ તાલુકાઓના પ્રાકૃતિક કૃષિ કરતા ૧૮ જેટલા ખેડૂતોને તેમના શાકભાજી, ફળો, અનાજ, કઠોળ, મસાલા, તેલ, ગોળ અને અન્ય પ્રાકૃતિક ઉત્પાદન આધારિત પ્રોડક્ટ્સનું સીધું વેચાણ કરવાની તક મળશે.
આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી રિવાબા જાડેજા, મેયર મોનિકા વ્યાસ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, કલેક્ટર પી.બી.પંડ્યા, જામનગર મહાનગર પાલિકાના કમિશ્નરશ્રી દીપેશ કેડિયા, જિલ્લા વિકાસ અધિકારી નિશા, જિલ્લા પોલીસ વડા ડો.રવિ મોહન સૈની, આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર કે.એસ.ઠક્કર, અધિકારીઓ તથા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.