સલાયા નગરપાલિકા વિસ્તારમાં વીજ પુરવઠાની અનિયમિતતાથી પ્રજા પરેશાન
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાનું સૌથી વધુ વસ્તી ધરાવતું સલાયા શહેર હાલમાં વીજ સંકટ અને વીજ પુરવઠાની અનિયમિતતાનો સામનો કરી રહ્યું છે. અંદાજે ૭૦,૦૦૦ થી ૮૦,૦૦૦ ની વસ્તી અને અંદાજે ૬,૦૦૦ થી વધુ વીજ જોડાણો ધરાવતા આ વિસ્તારમાં લાંબા સમયથી વીજ પુરવઠો ખોરવાઈ જવાની સમસ્યાથી સ્થાનિક લોકો અને વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
આ બાબતે સલાયા નગરપાલિકાના સદસ્ય બિલાલ હનીફ ભાયા તેમજ સલાયા ભાડેલા મુસ્લિમ જમાત,વાઘેર વેપારી એજ્યુકેશન એન્ડ વેલ્ફેર એસોસિયેશન, સલાયા વાઘેર મુસ્લિમ જમાત દ્વારા પી.જી.વી.સી.એલ.ના નાયબ કાર્યપાલક ઈજનેરને એક લેખિત રજૂઆત કરી તાકીદે પગલાં લેવા માંગ કરી છે. જેમાં સલાયામાં નિયમિત અને પૂરતો વીજ પુરવઠો આપવા માટે તંત્ર સમક્ષ અવારનવાર રજૂઆતો કરવા છતાં આજદિન સુધી કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી.જેની તાકીદે વ્યવસ્થા કરવા તેમજ સલાયા ખાતે આવેલી પીજીવીસીએલ કચેરીમાં પૂરતો સ્ટાફ પૂરો પાડવા અને કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓની વિગતો અને તેમના ફોન નંબર દર્શાવતું નોટિસ બોર્ડ લગાવવામાં આવે જેથી ગ્રાહકો તેમનો સંપર્ક કરી શકે.રાત્રિ દરમિયાન લાઈન ફોલ્ટ માટે સ્ટાફને હાજર રાખવો અને સ્ટ્રીટ લાઈટ માટે અલગ કેબલ જોડવો. આવી અનેક માંગણીઓ સાથે પીજીવીસીએલને રજૂઆત કરાઈ છે.