સગીર બાળકી સાથે દુષ્કર્મ, દેહવ્યાપાર કરાવવાના આક્ષેપોમાં આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકતી જામનગર પોક્સો કોર્ટ
13 વર્ષની સગીર બાળકી સાથે દુષ્કર્મ, દેહવ્યાપાર કરાવવાના, ખોટા દસ્તાવેજો બનાવી લગ્ન કરાવવાના તથા બાળકીની સગીર વયની જાણ હોવા છતાં લગ્ન કરી શારીરિક સંબંધ બાંધવાના આક્ષેપોમાં આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકતી જામનગર પોક્સો કોર્ટ.
માતા દ્વારા 13 વર્ષની સગીર બાળકી સાથે દેહવ્યાપાર કરાવવાના, તેની સગીર વય હોવા છતાં તેને પુખ્ત વયની દર્શાવી ખોટા દસ્તાવેજો તૈયાર કરી લગ્ન કરાવવાના તેમજ સગીર હોવાની જાણ હોવા છતાં તેની સાથે લગ્ન કરીને શારીરિક સંબંધ બાંધવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા.આ કેસમાં સગીર બાળકીની માતા તથા તેની બહેનપણીને આરોપી બનાવવામાં આવેલ.
સગીર બાળકી ગુમ થયાની ફરિયાદ તેની માતા દ્વારા પોલીસ સમક્ષ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ તપાસ દરમિયાન માતા જ આરોપી નીકળેલ.
સરકાર પક્ષ તરફથી માનનીય અદાલત સમક્ષ એવી દલીલ કરવામાં આવી હતી કે સગીર બાળકીની માતાએ તેની સગીર વયની જાણ હોવા છતાં તેને દેહવ્યાપારના ધંધામાં ધકેલી હતી અને ત્યારબાદ ખોટા દસ્તાવેજો તૈયાર કરાવી તેને પુખ્ત વયની દર્શાવી આરોપી વિશાલ પરમાર સાથે લગ્ન કરાવ્યા હતા. વધુમાં, આરોપી વિશાલ પરમારે સગીર બાળકી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. તેમજ આરોપી નવનીનભાઈ દ્વારા સગીર બાળકી સાથે પૈસાના બદલામાં શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હોવાનો આક્ષેપ સરકાર પક્ષે કરવામાં આવ્યો હતો.
આ તમામ આક્ષેપો સામે આરોપી પક્ષ તરફથી દલીલો રજૂ કરવામાં આવી હતી કે લગ્ન થયાના આક્ષેપને સાબિત કરતો કોઈ વિશ્વસનીય દસ્તાવેજ કે પુરાવો રેકર્ડ ઉપર રજૂ થયો નથી. તેમજ તપાસ દરમિયાન આરોપીઓએ ભોગ બનનાર સાથે કોઈ શારીરિક સંબંધ બાંધેલ હોય તેવું પણ ખુલેલ નથી.
પરિણામે, આરોપી નવનીનભાઈ, જેમના ઉપર સગીર બાળકી સાથે પૈસાના બદલામાં શારીરિક સંબંધ બાંધવાનો આક્ષેપ હતો, તથા વિશાલ પરમાર, જેમના ઉપર સગીર બાળકી સાથે લગ્ન કરી શારીરિક સંબંધ બાંધવાનો આક્ષેપ હતો, તેમજ સગીર બાળકીની માતા અને તેની બહેનપણી, જેમના ઉપર ખોટા દસ્તાવેજો તૈયાર કરાવી સગીર બાળકીના લગ્ન કરાવવાના આક્ષેપો હતા—તે તમામ આરોપીઓને માનનીય અદાલતે નિર્દોષ મુક્ત કર્યા છે.
આ કેસમાં આરોપીઓ તરફથી વકીલશ્રી રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહિલ, રજનીકાંત નખવા, નિતેશ મુછડિયા તથા કરણ પટેલ રોકાયેલા હતા.