યોગ્ય લાયકાત ધરાવતા જામનગર જિલ્લાના ઉમેદવારો તા.૧૦ સપ્ટેમ્બર સુધી અરજી કરી શકશે
જામનગર જિલ્લામાં સરકાર માન્ય જમીન માપણીની કામગીરી માટે 'જમીન માપણી નોંધણી સરવેયર' તરીકે કામ કરવા ઈચ્છતા ઉમેદવારો પાસેથી સુપ્રિટેન્ડેન્ટ લેન્ડ રેકર્ડ્સ કમ એકત્રીકરણ અધિકારીની કચેરી જામનગર દ્વારા અરજીઓ મગાવવામાં આવી છે. જેમાં ૧૮ થી ૫૦ વર્ષની વય ધરાવતા ઉમેદવારો અને જરૂરી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો જેમાં ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવતા ઉમેદવારો, સિવિલ એન્જિનિયરિંગના સ્નાતકો, આઈ.ટી.આઈ. (સરવેયર) નો કોર્સ પાસ કરેલ સર્વેયરો અરજી કરી શકશે.
આ ઉપરાંત જમીન દફતર ખાતામાં સરવેયર સંવર્ગથી ઉતરતીન હોય તેવી કોઈપણ જગ્યા પર ૧૦ વર્ષ કે તેથી વધુ સેવા બજાવી હોય તેવા ૬૨ વર્ષથી નીચેના નિવૃત્ત અધિકારી/કર્મચારીઓ અરજી કરી શકશે.
અરજી કરનાર તમામ ઉમેદવારો કોમ્પ્યુટરને લગતા સર્વે વિષયક પ્રોગ્રામોથી જાણકાર હોવા જરૂરી છે.યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોની તાલીમ પૂર્ણ થયા બાદ જામનગર જિલ્લા કલેક્ટર દ્વારા સત્તાવાર નોંધણી પ્રમાણપત્ર (લાયસન્સ) ઈશ્યુ કરવામાં આવશે.
રસ ધરાવતા ઉમેદવારો તા.૧૦ સપ્ટેમ્બર સુધીમાં સવારે ૧૦:૩૦ થી સાંજના ૬:૧૦ વાગ્યા સુધીમાં સૂપ્રિન્ટેન્ડન્ટ લેન્ડ રેકોર્ડ્ઝ કમ એકત્રીકરણ અધિકારીની કચેરી સેવા સદન-૩, પહેલા માળે, લાલ બંગલા કમ્પાઉન્ડ, જામનગર ખાતે અરજી કરી શકશે. તેમ સૂપ્રિન્ટેન્ડન્ટ લેન્ડ રેકોર્ડ્ઝ કમ એકત્રીકરણ અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.