જામનગરના નભોમંડળમાં ૪ જૂને ગુરુવારે બપોરે ૧૨.૪૮ મિનિટે સર્જાયેલી ખગોળીય ઘટના નું પ્રત્યક્ષ નિદર્શન યોજાયું
ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત એમ ડી મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્દ્ર- ધ્રોલ , ખગોળ મંડળ - જામનગર અને રંગતાલી ગ્રુપ દ્વારા નિદર્શન કાર્યક્રમ હાથ ધરાયો
જામનગર તા ૪, જામનગર ના નભોમંડળ માં ગુરુવારે "ઝીરો શેડો ડે" તરીકેની ઉજવણી કરાઈ હતી બપોરે ૧૨.૪૮ મિનિટે સૂર્ય માથા પર આવ્યો, અને તેનો પડછાયો સીધો જમીનમાં ઉતરી ગયો હતો, જેનું પ્રત્યક્ષ નિદર્શન જામનગરના પ્રદર્શન મેદાનમાં યોજાયું હતું.
સૂર્યપ્રકાશને જીલી શકાય તે રીતે ની ટેબલ પર વ્યવસ્થા ગોઠવી સફેદ પ્લેટફોર્મ તૈયાર કરાયું હતું, જેના ઉપર પારદર્શક કાચ મૂકવામાં આવ્યો હતો, અને ત્યાર પછી પૃથ્વીનો ગોળો, લંબકાર, ગોળાકાર પાઇપ, સ્કેવેર, ત્રિકોણ, બોલ, સહિતના જુદા જુદા ઉપકરણો મૂકીને તેનો પડછાયો પ્રદર્શિત કરી બરાબર ૧૨.૦૦ વાગ્યા ને ૪૮ મિનિટે પડછાયો સીધી લીટીમાં આવ્યો ત્યાં સુધીનું અને ત્યાર પછી સૂર્ય પ્રકાશ ઉલટી દિશા તરફ આગળ ધપ્યા સુધીનું પરફેક્ટ નિદર્શન યોજાયું હતું.
ધ્રોળની એમ ડી મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એમ ડી મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્દ્ર ધ્રોલ ના ડાયરેકટર ડો. સંજય પંડ્યા અને તેઓની ટિમના કોમ્યુનિકેટર પંકજ ડાંગર હાર્દિક કણજારીયા સદ્દામ નારેજા, ખગોળ મંડળ જામનગરના કિરિટભાઈ શાહ અને અમિતભાઇ વ્યાસ દ્વારા સમગ્ર ખગોળીય ઘટનાની માહિતી આપવામાં આવી હતી.
જામનગરના પ્રદર્શન મેદાનમાં રંગતાલી ગ્રુપ ના સંજય જાની તેમજ મેળા ઓર્ગેનાઇઝર શબ્બીરભાઈ અખાણી દ્વારા જાહેર નિદર્શનની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.