યુ.જી.સી. એક્ટ સુધારા વિધાયક સામે જામનગરમાં ક્ષત્રિય-રાજપૂત સંગઠનોનો વિરોધ
સમાજના અગ્રણીઓ, યુવાનો દ્વારા વિરોધ દર્શાવતી રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એક્ટ સુધારા વિધાયક બિલ સામે જામનગરના વિવિધ રાજપૂત અને ક્ષત્રિય સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવી જિલ્લા કલેક્ટરને સંયુક્ત રીતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. શ્રી રાજપૂત કરણી સેના (ગુજરાત), શ્રી જામનગર રાજપૂત સેવા સમાજ, અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા (ગુજરાત પ્રદેશ સમિતિ), શ્રી જામનગર જિલ્લા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિ તેમજ જામનગર શહેર-જિલ્લા રાજપૂત યુવા સંઘ દ્વારા આવેદનપત્ર આપી સરકારના આ નિર્ણય સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે.
આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે આ સુધારા વિધેયકથી કેમ્પસમાં સમાનતાના અધિકારને બદલે જાતિ-ધર્મ આધારિત ભેદભાવ ઊભો થશે અને સામાન્ય તેમજ સવર્ણ વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓ પોતાના હક્ક અને ઉજ્જવળ કારકિર્દીથી વંચિત રહી જશે. જનરલ કેટેગરીના ઘણા ઉમેદવારો આર્થિક રીતે નબળા હોવા છતાં અનામતનો લાભ ન મળવાથી સરકારી નોકરી અને શૈક્ષણિક તકોમાં અન્યાયનો સામનો કરી રહ્યા છે.
વિદ્યાર્થીઓની મહેનત અને ભવિષ્ય જોખમાય નહીં તે માટે બંધારણીય સમાનતાના અધિકારને ધ્યાનમાં રાખીને યુ.જી.સી. એક્ટમાં જરૂરી સુધારો કરવામાં આવે અથવા આ વિધાયક તાત્કાલિક પાછું ખેંચવામાં આવે તેવી સરકાર સમક્ષ માગણી કરવામાં આવી છે.
રાજપૂત-ક્ષત્રિય સમાજના વિવિધ સંગઠનો દ્વારા વિરોધ દર્શાવતી રેલી કાઢી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. રેલીમાં સમાજના વિવિધ આગેવાનો, અગ્રણીઓ, યુવાનો જોડાયા હતા.