જામનગર-દેવભૂમિ દ્વારકા સહિત રાજ્યના ન્યાયતંત્રમાં મોટાપાયે બઢતી-બદલીનો દોર
જામનગરના નવા ડીસ્ટ્રીક્ટ જજ તરીકે વડોદરાના વિકુલ પાઠકની નિમણુંક: નેહલ જોષીની બનાસકાંઠા (પાલનપુર) ખાતે બદલી
ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યના જ્યુડિશિયલ ઓફિસરોની બદલી, બઢતીના આદેશો જારી કરવામાં આવ્યા છે. જે અંતર્ગત જામનગર અને દેવભૂમિ દ્વારકા (ખંભાળીયા) જિલ્લાના કટોકટીપૂર્ણ ન્યાયિક પદો પર પણ મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે.રાજ્યમાં ૬૭ ડિસ્ટ્રીક,૬૩ સિવિલ અને ૨૬ સિનિયર સિવિલ જજની બદલી બઢતી કરાઈ છે.
જામનગરના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ નેહલભાઈ જોશીની બદલી બનાસકાંઠા (પાલનપુર) ખાતે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે કરવામાં આવી છે. તેમની જગ્યાએ વડોદરાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ વિકુલ પાઠકની જામનગરના નવા પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
આ ઉપરાંત જામનગરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ આર.પી. મોગેરાને પ્રમોશન આપીને દેવભૂમિ દ્વારકા (ખંભાળીયા) ખાતે ફેમિલી કોર્ટના પ્રિન્સિપાલ જજ તરીકે મૂકવાની ભલામણ કરાઈ છે.
જામનગરમાં પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ તરીકે ફરજ બજાવતા નરેન્દ્રકુમાર પરમારને બઢતી આપીને જામનગર ખાતે જ ત્રીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ બનાવવામાં આવ્યા છે. તેમજ અગાઉ અમદાવાદ ખાતે ત્રીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તરીકે સેવા આપતા રઘુવીરસિંહ ઝાલાને બઢતી સાથે જામનગરના ચોથા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે નિયુક્ત કરાયા છે. જામનગરના ચીફ જ્યુડી. મેજી. એન્ડ સિનીયર સીવીલ જજ ભદ્રેશ ગાંધીનું રાજકોટમાં પ્રમોશન સાથે ૧૬ માં એડીશ્નલ ડીસ્ટ્રીક્ટ જજ તરીકે બદલી કરવામાં આવી છે.
બીજી તરફ, દેવભૂમિ દ્વારકા (ખંભાળીયા) જિલ્લામાં તાપી (વ્યારા) ના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ તેજસકુમાર દેસાઈની બદલી કરીને તેમને દેવભૂમિ દ્વારકા (ખંભાળીયા) ના નવા પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ તરીકે મૂકવામાં આવ્યા છે. ખંભાળીયા ફેમિલી કોર્ટના પ્રિન્સિપાલ જજ ગીતાબેન આહીરની બદલી ખેડબ્રહ્મા ખાતે ફેમિલી કોર્ટના જજ તરીકે થઈ છે.
દેવભૂમિ દ્વારકા (ખંભાળીયા) ના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ જનકકુમાર સોલંકીને પ્રમોશન આપીને આણંદ ખાતે પાંચમા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે બદલી કરવામાં આવી છે.
તદ્દઉપરાંત જામનગરમાં જજની આંતરિક બદલીઓ પણ કરવામાં આવી છે. જેમાં જામનગરના બીજા એડી. ડીસ્ટ્રીક્ટ જજ વિજય અગ્રવાલને એડી. ડીસ્ટ્રીક્ટ જજ બનાવવામાં આવ્યા છે. તેમજ ત્રીજા એડી. ડીસ્ટ્રીક્ટ જજ રસિકકુમાર મંદાણીને બીજા એડી. ડીસ્ટ્રીક્ટ જજ બનાવવામાં આવ્યા છે. હાઇકોર્ટના આ આદેશો અનુસાર તમામ ન્યાયિક અધિકારીઓ ૧૭ ઓગસ્ટ ૨૦૨૬થી પોતપોતાનો નવો હોદ્દો સંભાળશે.