દ્વારકા: ભાણવડ પંથકમાં એક જ રાતમાં પાંચ અજગરનુ રેસ્ક્યુ
એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ અને વન વિભાગની અદભૂત કામગીરી
ભાણવડ પંથકમાં એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ અને વન વિભાગની સંયુક્ત ટીમે વન્યજીવ સંરક્ષણનું અદભૂત ઉદાહરણ પૂરું પાડ્યું છે.
મોડી રાત્રે ૯ થી ૧ વાગ્યા દરમિયાન મળેલા કોલના આધારે ટીમે માત્ર સાડા ત્રણથી ચાર કલાકના ટૂંકા સમયગાળામાં ત્વરિત કામગીરી કરીને જામ રોજીવાડા, ભરતપુર, ટીંબડી, વિજયપુર અને ફતેપુર ગામોના વાડી, કૂવા તેમજ રહેણાંક વિસ્તારોમાંથી કુલ પાંચ અજગરનું સફળ રેસ્ક્યુ કર્યું હતું. રેસ્ક્યુ કરાયેલા તમામ અજગરને પાછળથી બરડાના પ્રાકૃતિક આવાસમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર ઓપરેશનમાં ટ્રસ્ટના પ્રમુખ અશોકભાઈ ભટ્ટના નેતૃત્વ હેઠળ દૂદાભાઈ ભરવાડ, મેરામણભાઈ, વિજય ખુટી, પરાગ પીઠિયા,વિશાલ ભરવાડ અને અક્ષય સૂચક તેમજ વન વિભાગના લક્ષેશ વાણિયાએ મહત્વનું યોગદાન આપ્યું હતું.
છેલ્લા ૧૬ વર્ષથી પોતાના અંગત કામકાજ અને નોકરીની સાથે મોડી રાત્રે પણ તદ્દન વિના મૂલ્યે સેવા આપતી આ ટીમની નિ:સ્વાર્થ કામગીરીને ભાણવડ પંથકના સ્થાનિક લોકો અને વન્યજીવ પ્રેમીઓ દ્વારા વ્યાપકપણે બિરદાવવામાં આવી રહી છે.