જામનગર: પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હરિપર હેઠળના ગામોમાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે દવાનો છંટકાવ
હાલ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ચાંદીપુરા વાયરસ રોગચાળો ચાલી રહ્યો છે જેમાં ખાસ કરીને કાચી માટી અને લીપણ વાળા મકાનોમાં રહેતી ચેપી સેન્ડફ્લાય માખી કરડવાથી ૧૫ વર્ષથી નાની ઉંમરના બાળકોમાં થતો આ રોગ છે. આ ચેપ ગ્રામ્ય વિસ્તારમાં વધુ જોવા મળે છે જેમાં સતત અચાનક તાવ આવવો, ઉલટી, માથાનો દુખાવો, ખેંચ આવવી, બેભાન થઈ જવું, મગજમાં સોજા આવવો વિગેરે જેવા લક્ષણો જોવા મળે છે આ રોગચાળો ના થાય તે માટે બાળકોને પૂરા શરીર ઢંકાઈ જાય તેવા કપડાં પહેરાવવા જરૂરી છે અને કાચા ગારાના મકાનોની દિવાલોમાં તિરાડો બુરી દેવી.
આ રોગચાળા અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હરીપર હેઠળના ગામોમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જામનગર ડો. પંકજકુમારની સૂચના અનુસાર અને તાલુકા હેલ્થ ઓફિસર લાલપુરના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા તમામ ગામોના ગામ અને વાડી વિસ્તારોમાં આવેલા કાચા અને માટીના લીપણ વાળા મકાનોમાં સર્વે કરી આવા ઘરોમાં મેલેથીઓન પાવડર અને ચૂનાનું મિશ્રણ કરી ૩૬૮ કાચા ઘરોમાં ડસ્ટિંગ કરવામાં આવેલ છે. આ કામગીરીનો બીજો રાઉન્ડ તારીખ ૧૧. ૮. ૨૦૨૬ થી શરૂ કરેલ હોય ટીમ દ્વારા ડસ્ટિંગ સાથે ઘનિષ્ટ રોગચાળા સર્વેલન્સ પણ શરૂ કરેલ છે. ટીમ દ્વારા આ રોગ વિશે જરૂરી આરોગ્ય શિક્ષણ પણ આપવામાં આવે છે. આ કામગીરીમાં દરેક ગામના સરપંચઓનો બહોળો સહકાર પ્રાપ્ત થયેલ છે તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હરીપરના મેડિકલ ઓફિસર અને સુપરવાઇઝર દ્વારા આ કામગીરીનું દેખરેખ અને મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.