જામનગર: કાલાવડ-રણુંજા વચ્ચે રીક્ષાએ બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત
યુવતિ અને એક પેસેન્જરને ગંભીર ઇજા : સારવારમાં ખસેડાયા : સીએનજી રીક્ષાચાલક સામે ગુનો નોંધાયો
કાલાવડના રણુંજા રોડ કારખાના પાસે સીએનજી રીક્ષાના ચાલકે બેદરકારીથી ચલાવીને મોટરસાયકલને ઠોકર મારી હતી આ અકસ્માતમાં પરપ્રાંતીય યુવાનનું મૃત્યુ નિપજયુ છે જયારે બે વ્યકિતને ગંભીર ઇજા પહોચતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા બનાવ સબબ રીક્ષાચાલક સામે ટાઉન પોલીસમાં ફરીયાદ કરવામાં આવી છે.
મુળ એમપીના ઉચાવત ગામના વતની અને હાલ જામનગર તાલુકાના ધુતારપર ગામ વાડીએ રહેતા ખેતમજુરી કરતા સુનિલ મસીંગ તડવી (ઉ.વ.૩૨) નામના યુવાને કાલાવડ ટાઉન પોલીસમાં ગત રાત્રીના સીએનજી રીક્ષા નં. જીજે૧૦ટીડબલ્યુ-૩૫૩૧ના ચાલક સામે ફરીયાદ નોંધાવી છે.
ફરીયાદીના ભાઇ અનિલભાઇ મસીંગ તડવી (ઉ.વ.૩૦) તથા તેમની સાથે બિન્દુબેન કરણભાઇ મોરે હવાલાનું સીડી ડીલક્ષ બાઇક નં. જીજે૧૦સીઆર-૩૦૯૪ લઇને ગઇકાલે રાત્રીના સુમારે કાલાવડથી ધુતારપર ગામે જતા હતા.
દરમ્યાનમાં કાલાવડ રણુંજા વચ્ચે શીતલ યુનિવર્સલ કારખાના પાસે પહોચતા સીએનજી રીક્ષાના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી મોટરસાયકલ સાથે ભટકાડીને અકસ્માત સર્જયો હતો.
આ અકસ્માતમાં અનિલભાઇ તડવીને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચાડી મોત નિપજાવ્યુ હતું તેમજ બાઇકની પાછળ બેઠેલ સાહેદ બિન્દુબેનને માથા અને શરીના ભાગે ગંભીર ઇજા પહોચી હતી તથા રીક્ષામાં બેઠેલ પેસેન્જર દિનેશ રવજીભાઇ પરમરને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોચી હતી.
ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા, દરમ્યાનમાં સુનિલભાઇની ફરીયાદના આધારે સીએનજી રીક્ષાના ચાલક સામે ગુનો નોંધીને કાલાવડ ટાઉન પીઆઇ બારસીયા આ અંગેની તપાસ ચલાવી રહયા છે.