જામનગરમાં તળાવની પાળે નવા માર્ગ પર પાણીની રેલમછેલથી આશ્ર્ચર્ય
નળની લાઇન લીકેજ કે ભૂગર્ભ ગટરનું પાણી લોકોમાં અણીયારો સવાલ
શહેરમાં દીન-પ્રતિદીન વધતા પાણીના વેડફાટથી જળસંકટ વધુ ઘેરૂ બનશે
જામનગરમાં તળાવની પાળે નવા બનેલા માર્ગ પર પાણીની રેલમછેલથી લોકોમાં આશ્ર્ચર્ય સર્જાયું હતું. નળની લાઇન લીકેજ કે ભૂગર્ભ ગટર ઉભરાવાથી પાણી માર્ગ પર વહી રહ્યું છે સવાલ લોકોમાં ઉઠ્યો છે. શહેરમાં દીન-પ્રતીદીન વધતા પાણીના વેડફાટથી જળસંકટ વધુ ઘેરૂ બનશે તેમાં બેમત નથી.
જામનગરમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ વર્તાઇ રહ્યા છે. કારણ કે, શહેરને પાણી પું પાડતા રણજીતસાગરમાં ૩૧ ઓગષ્ટ અને અન્ય જળાશયોમાં ૩૦ જુલાઇ સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો છે.પાણીની આ કપરી સ્થિતિમાં શહેરમાં પાણીનો વેડફાટ અને બગાડ બંધ થવાનું નામ લેતો નથી. પરંતુ દીન-પ્રતિદીન વધી રહ્યો છે. બે દીવસ પહેલાં સમર્પણ હોસ્પિટલ તથા સત્યમ કોલોની અન્ડર બ્રીજ પાસે બે સ્થળો પર પાઇપલાઇનમાં ભંગાણથી પાણીનો વેડફાટ થયો હતો. શહેરમાં પાછલા તળાવ કે જયાં બ્યુટીફીકેશન પ્રોજેકટ બે ચાલી રહ્યો છે, ત્યાં મહાનગરપાલીકા દ્વારા તાજેતરમાં નવો માર્ગ બનાવામાં આવ્યો છે. આ માર્ગ પર સોમવારે સાંજે પાણીની રેલમછેલ જોવા મળી હતી. આથી માર્ગ પર પસાર થતાં વાહનચાલકો અને રાહદારીઓમાં નળની લાઇન લીકેજના કારણે પાણી માર્ગ પર વહી રહ્યું છે કે ભૂગર્ભ ગટર ઉભરાતા આ સ્થિતિ સર્જાઇ છે તે સવાલ ઉઠયો છે. બીજી બાજુ નવા બનેલા માર્ગ પર પાણીની રેલમછેલથી લોકોમાં આશ્ર્ચર્ય પણ સર્જાયું હતું.