જામનગરમાં તા.૮ જુન સુધી તાલીમ મેળવવા માટે ઓનલાઇન અરજી થશે
મહિલાઓને જામ, કેચઅપ, મુરબ્બા, અથાણાઓ, શરબતો બનાવવાની તાલીમ આપવામાં આવશે
જામનગર જીલ્લાના તમામ તાલુકાઓ તેમજ ગ્રામ્ય કક્ષાએ ૧૮ થી ૬૦ વર્ષની મહિલાઓ ચાલુ વર્ષ ૨૦૨૬-૨૭ માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ પૈકી મહિલા તાલીમાર્થીઓને વૃતિકા (સ્ટાઇપેન્ડ) આપવાની યોજના હેઠળ તાલીમ મેળવવા માટે તા. ૦૮/૦૬/૨૦૨૬ સુધીમાં પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકશે.
આ યોજનામા મહિલાઓને વિવિધ ફળો તેમજ શાકભાજીને લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય તેવી પરિરક્ષીત બનાવટો જેમ કે જામ, કેચઅપ, મુરબ્બા, અથાણાઓ, શરબતો, વગેરે બનાવવાની પ્રેક્ટિકલ તાલિમ આપવામાં આવશે. આ તાલીમનો સમયગાળો ૨ દિવસ માટે (૧૪ કલાક) અને ૫ દિવસ માટે (૩૫ કલાક)નો રહેશે. તેમજ તાલીમ કાર્યક્રમમાં ભાગ લેનાર મહિલાઓને બાગાયત વિભાગનુ તાલીમ સર્ટીફીકેટ પણ એનાયત કરવામા આવશે.
આ તાલીમ યોજનાનો લાભ લેવા માંગતી મહિલા લાભાર્થીની ઉંમર મર્યાદા ૧૮ થી ૬૦ છે. અને તાલીમ વર્ગમા તાલીમાર્થીઓની સંખ્યા ઓછામા ઓછી ૨૦ અને વધુમા વધુ ૫૦ રહેશે તથા રેશનકાર્ડ દીઠ એક મહિલાને લાભ મળવા પાત્ર છે. લાભ મેળવવા માંગતા મહિલાઓ આઈ ખેડૂત પોર્ટલ પર નોધણી અને આધાર ઓથેન્ટીકેશન કર્યા બાદ જ અરજી કરી શકશે. તેમ નાયબ બાગાયત નિયામક જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.