જામનગર: પડાણા ગામમાં વીજ કરંટથી બે પરપ્રાંતીય શ્રમિકોના મૃત્યુ
કપડા સુકવવા જતાં જીવંત વિજતારને હાથ અડવાથી સર્જાઈ કરુણ દુર્ઘટના : અરેરાટી સાથે શોકની લગાણી
લાલપુર તાલુકાના પડાણા ગામે બે પરપ્રાંતીય શ્રમિકોના વીજ કરંટ લાગતાં મોત નિપજ્યા છે. બનાવને લઈને વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. ઘરે કપડા સુકવતી વેળાએ જીવતા વાયરને અડકી જતા આ બનાવ બન્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ પડાણા ગામે ભાડાના રૂમમાં રહેતા બિહાર રાજ્યના બે શ્રમિકો સુનિલ મહંતો ઉર્ફે ચૂની મહંતો (ઉ.વ.૩૭) તથા જયપ્રકાશકુમાર ચંદેશ્વર રાય (ઉ.વ.૩૫) તા.૧૦ના રોજ સવારના સમયે રૂમમાં પાણીથી સફાઈ કામગીરી કરી રહ્યા હતા.
ત્યારબાદ બંને કપડા સુકવવા માટે તાર બાંધતા હતા. દરમિયાન કપડા સુકવવાના તારનું જોડાણ પાસે ટેપ મારવામાં આવેલ ઇલેક્ટ્રિક વાયર સાથે સંપર્ક થતાં બંનેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. આથી બંને શ્રમિકો બેશુદ્ધ બન્યા હતા.
જેથી તેઓને તાત્કાલિક અસરથી ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ત્યાં ફરજ પરના તબીબે બંનેના મૃત્યુ નિપજ્યા હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે વેપારી રાજેન્દ્રકુમાર ગેયા સાહુ દ્વારા મેઘપર પોલીસ મથકમાં જાણ કરવામાં આવતાં મેધપર પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. વી.સી. જાડેજાની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે મૃતદેહોનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.