જામનગર ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ પદે ડો. માનસી દેશપાંડેની નિયુકિત
ત્રણ વર્ષ માટે કરાઇ નિયુકિત: સંભવત: સોમવારે સંભાળશે કાર્યભાર
જામનગર ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના નવા વા.ચાન્સલેર તરીકે ડો. માનસી મકરંદ દેશપાંડેની નિયુકિત કરવામાં આવી છે. તેઓની આ નિયુકિત ત્રણ વર્ષ માટેની છે અને સંભવત: સોમવારે તેઓ કાર્યભાર સંભાળશે.
વિશ્ર્વ પ્રસિદ્ધ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ તરીકે જાણીતા આયુર્વેદ શિક્ષણવિદ ડો. માનસી દેશપાંડેની નિયુકિત કરવામાં આવી છે.રાજયના શિક્ષણ વિભાગ દ્વારા તેઓની ત્રણ વર્ષ માટે યુનિવર્સિટીના કુલપતિ તરીકે નિયુકત કરવાના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. સંભવત: તા. ૧૦ને સોમવારે કાર્યભાર સંભાળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ડો. માનસી મકરંદ દેશપાંડે જામનગરમાં જ આયુર્વેદનું કોલેજ કક્ષાનું શિક્ષણ ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલયમાંથી મેળવ્યા બાદ તેણીએ દ્રવ્યગુણ વિષયમાં એમડી આયુર્વેદની ડીગ્રી પણ જામનગરની આઇપીજીટી એન્ડ આર. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાંથી મેળવી હતી. શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે ત્રણ દાયકાથી વધુ સમયનો અનુભવ ધરાવતા ડો. માનસી લાંબા સમયથી ભારતીય વિદ્યાપીઠ કોલેજ ઓફ આયુર્વેદ પુર્ણ સાથે સંકળાયેલા છે.
તેઓ ત્યાં પ્રોફેસર દ્રવ્યગુણ વિજ્ઞાન વિભાગના વડા અને વાઇસ પ્રિન્સીપાલ તરીકે મહત્વની જવાબદારી સંભાળી છે. ઔષધીય વનસ્પતિ, આર્યુ ફાર્માકોલોજી, રસાયણ ચિકિત્સા ઉપરાંત આયુર્વેદ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન બદલ તેણીને વૈદ્ય સુંદરલાલ જોશી શિક્ષણ પુરસ્કાર આપવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલરથી ગુજરાત આર્યુ. યુનિ.નું ગાડુ ગબડતુ હતું જે પદ પર હવે ત્રણ વર્ષ માટે ડો. માનસી દેશપાંડેની નિયુકિત થતા કામગીરીને વેગ મળશે.