જામનગર: લાખોટા તળાવમાં વગર વરસાદે પાણીની આવક...!?: યુઘ્ધના ધોરણે સમારકામ
પવનચકકી વિસ્તારમાં પાણીની પાઇપ લાઇન તુટી જતા તળાવની કેનાલમાં પાણી આવ્યુ
મ્યુ. કમિશ્નર દિપેશ કેડીયા સહિતના અધિકારીઓ દોડી તાત્કાલિક રીપેંરીગ કામ શરૂ કરવા આપ્યા આદેશ: સારૂ થયું ભૂગર્ભ ગટરનું પાણી આવ્યું નહીં
જામનગર શહેરમાં આજે સવારે પવન ચકકી વિસ્તારથી નજીક ભુગર્ભમાં નખાયેલી પીવાના પાણીની પાઇપ લાઇનમાં ઓચિંતુ ભંગાણ પડતા લાખો ગેલન પાણી દરેડથી આવતી રણમલ તળાની કેનાલમાં આવ્યુ હતુ આ બનાવની જાણ થતા જ મ્યુ.કમિશ્નર દિપેશ કેડીયા, ડી.એમ.સી ઝાલા, સીટી ઇન્જનેર ભાવેશ જાની સહિતના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક દોડી ગયા હતા અને ભંગાણ રીપેરીંગ કરવા માટે તાત્કાલિક કાર્યવાહી કરી હતી.વગર વરસાદે લાખોટાની કેનાલમાં પાણી આવતા લોકોને પણ આશ્ર્ચર્ય થયુ હતુ.
આજે સવારે પવન ચકકી વિસ્તારમાં ઓચિંતુ પાણી રસ્તા પર વહ્યુ અને પાણી કેનાલમાં જઇ રહ્યુ હતુ ત્યારે તાત્કાલિક અસરથી મહાનગર પાલિકાના કર્મચારીઓને જાણ કરવામાં આવી હતી. આ જાણ થતા ખુદ મ્યુ.કમિશ્નર દિપેશ કેડીયાએ અન્ય અધિકારીઓને સાથે રાખીને સ્થળ નિરીક્ષણ કર્યુ હતુ કઇ જગ્યાએ પાઇપ લાઇન તુટી છે તે ૨ કલાક સુધી ખબર પડી ન હતી આ પાણીની પાઇપ લાઇનની બાજુમાં જ ગેસની પાઇપ લાઇન પણ હોવાના કારણે સાવચેતી પૂર્વક ખોદાણ કરવામાં આવ્યુ હતુ અને ગુજરાત ગેસના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા ગેસની પાઇ લાઇનમાં ખોદાણ વખતે નુકશાન ના થાય તે માટે પણ તકેદારી રાખવા પણ સુચના આપવામાં આવી હતી.
કોર્પોરેશનના વોટર શાખાના ઉચ્ચ અધિકારીઓ, સોલીડ વેસ્ટના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા તાત્કાલિક લીકેજ ગોતવા કાર્યવાહી કરી હતી આ લીકેજ શા માટે થયુ તે અંગે ઉચ્ચ અધિકારીઓ પણ તે શોધવા મથામણ કરી રહ્યા હતા. અને લાંબા સમય સુધી આ લીકેજ મળ્યુ ન હતુ.