ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીની આઈપીએલ કારકિર્દીને લઈને ઘણી અટકળો ચાલી રહી છે. આઈપીએલની શરૂઆતની સીઝનથી જ કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી)નો ભાગ છે. આઈપીએલ 2026 પહેલા એવી જોરદાર અટકળો ચાલી રહી છે કે વિરાટ કોહલી આરસીબી છોડી દેશે. કોહલીએ ગયા સીઝનમાં પોતાનું પહેલું આઈપીએલ ટાઇટલ જીત્યું હતું, જેનાથી 18 વર્ષની રાહનો અંત આવ્યો હતો. જોકે, એવું માનવામાં આવે છે કે 36 વર્ષીય ખેલાડીએ નવી સીઝન પહેલા ફ્રેન્ચાઇઝી સાથેના વ્યાપારી કરારને નકારી કાઢ્યો હતો.
શું કોહલી આરસીબી છોડશે?
કોમેન્ટેટર આકાશ ચોપરાએ આરસીબીના ચાહકોને ખાતરી આપી હતી કે તેમનો સ્ટાર ખેલાડી ટીમ છોડશે નહીં. વિરાટે પોતાની આખી કારકિર્દી આરસીબી સાથે વિતાવી છે અને તે ફ્રેન્ચાઇઝીનો પર્યાય બની ગયો છે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને ઘણીવાર બેંગલુરુ સ્થિત ટીમ સાથે પોતાની કારકિર્દીનો અંત લાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
આકાશ ચોપરાએ કહ્યું, તેણે કોમર્શિયલ કોન્ટ્રાક્ટ નકારી કાઢ્યો હોવાના અહેવાલ છે, પરંતુ તેનો અર્થ શું છે? તે ચોક્કસપણે RCB માટે રમશે. જો તે રમી રહ્યો છે, તો તે ચોક્કસપણે આ ફ્રેન્ચાઇઝી માટે રમશે. કોમર્શિયલ કોન્ટ્રાક્ટ ફ્રેન્ચાઇઝ સાથેના રિટેન્શન કોન્ટ્રાક્ટથી અલગ છે. કોહલીને RCB દ્વારા દરેક સિઝનમાં જાળવી રાખવામાં આવ્યો છે અને IPL 2026ની હરાજી પહેલા પણ તે તેમની યાદીમાં ટોચ પર હોવાની શક્યતા છે.
આકાશ ચોપરાએ કહ્યું કે તેણે હમણાં જ ટ્રોફી જીતી છે. તો તે ફ્રેન્ચાઇઝી કેમ છોડશે? તે ક્યાંય જઈ રહ્યો નથી. કયો કોન્ટ્રાક્ટ નકારી કાઢવામાં આવ્યો છે તે ફક્ત અટકળોનો વિષય છે. શક્ય છે કે તેની પાસે બેવડા કોન્ટ્રાક્ટ હોય. કોહલી IPL ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેને ૨૬૭ મેચોમાં ૮,૬૬૧ રન અને ૭૧ ફિફ્ટી છે. ગયા વર્ષે, વિરાટે ૧૫ મેચોમાં ૫૪.૭૫ની પ્રભાવશાળી સરેરાશથી ૬૫૭ રન બનાવ્યા હતા.