જામનગર:શહેરમાં ફાયર સેફટીના નિયમો ભંગ કરનાર ૧૫ હોટલો, રેસ્ટોરન્ટો સીલ
હાઇવે ઉપર અગાઉ સીલ કરાયેલા એકમોમાંથી ફરીથી પાંચને તાળા મારી દેવાયા
જામનગર મહાપાલિકાના ફાયર બ્રિગેડ દ્વારા હોટલ અને રેસ્ટોરન્ટમાં નિયમોનો ભંગ થાય છે કે કેમ તે અંગે ચેકીંગ કરાતા ત્રણ દિવસમાં ૧૫ જેટલી હોટલ અને રેસ્ટોરન્ટ સીલ કરી દેવામાં આવ્યા છે.
ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ અધિકારી ભાવેશ જાનીના માર્ગદર્શન હેઠળ ફાયર વિભાગ, ટીપીઓ શાખા, એસ્ટેટ શાખા અને મહાપાલિકાના કેટલાક વિભાગની ટીમ દ્વારા પ્રથમ તબકકામાં ૮૫ જેટલા હોટલ, રેસ્ટોરન્ટ ચેક કરવામાં આવ્યા હતા. જેમાં ૨૪માં ફાયરના નિયમોનો ભંગ હોવાનું ખુલ્યું હતું. કેટલાકમાં એનઓસી પુરી થઇ ગઇ હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ સંચાલકો પાસેથી રૂ.૩૦૦ના સ્ટેમ્પ ઉપર લેખિત બાહેંધરી લેવામાં આવી હતી અને ૧૫ દિવસમાં ફાયર સેફટીના તમામ નિયમો પાળવામાં આવશે તેમ કહેવામાં આવ્યું હતું.
ફાયરના અધિકારી અનવર ગજણે પણ જણાવ્યું હતું કે હાઇવે ઉપર ફાયર સેફટીનું સતત પાલન થાય તે માટે અવારનવાર ચેકીંગ કરવામાં આવશે. અને બીયુ સર્ટીફીકેટ સંબંધિત ખામી જોવા મળશે તો તેમની સામે કડક પગલા લેવામાં આવશે.