દ્વારકાના ગ્રામ્ય વિસ્તારમાં બે ઇંચ વરસાદ
દ્વારકા જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ગુંદામાં ૫૧ મીમી, મોરઝર ૩૮, વેરાડ ૩૫, મોડપર ૩૫, પાછતર ૫૦, વરવાળા ૧૫, ટુંપણી ૧૫, ભાટીયા ૪૫, લાંબા ૨૦, રાણ ૩૦, દેવળીયા ૨૫, રાજપરા ૩૧, ગઢકા ૨૫, ભોગાત ૨૮, પીંડારા ૨૨, મોટા આસોટા ૨૨, વડત્રા ૧૬, ભાડથર ૨૮, મોવાણ ૧૦, વચલાબારા ૧૭, ભીંડા ૧૮ અને બજાણામાં ૩૦ મીમી વરસાદ પડયો હતો.
જામજોધપુરના કરસનપર ગામમાં ભરવાડ યુવાનનું નદીમાં ડૂબી જવાથી મૃત્યુ
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના કરસનપર ગામમાં રહેતા બાબુભાઈ નારણભાઈ સરસિયા નામનો ૨૦ વર્ષનો ભરવાડ યુવાન ગઈકાલે ગામની નદી પાસે કુદરતી હાજતે ગયો હતો, જ્યાં અકસ્માતે તેનો પગ લપસી જતાં નદીના પાણીમાં પડી ગયો હતો અને ડૂબી જવાના કારણે તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના સંબંધી હમીરભાઈ ભીખાભાઈ સરસિયાએ પોલીસને જાણ કરતાં જામજોધપુરના પોલીસ હેડ કોન્સ્ટેબલ જે.ડી. મેઘનાથી બનાવના સ્થળે દોડી ગયા હતાં અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર અને દેવભુમી દ્વારકા જીલ્લામાં મેઘરાજાએ પ્રારંભીક તબકકામાં જ ધમાકેદાર એન્ટ્રી કરી છે અને કેટલાક ગામડાઓમાં પણ મોકળા મને વરસાદ વરસાવ્યો છે, અમુક સ્થળોએ પાણી ભરાયા છે અનેક ગામડાઓમાં વિજળી ગુલ થઇ ગઇ છે, છેલ્લા ૨૪ કલાકમાં અલીયાબાડા અને મોટી બાણુંગારમાં ૩, જામનગરમાં વધુ ૧, દ્વારકા-ખંભાળીયામાં પોણા બે, જામજોધપુર-કલ્યાણપુરમાં ૧, ભાણવડ-લાલપુરમાં પોણો ઇંચ વરસાદ પડયો છે, કરશનપરમાં નદીમાં પડી જવાથી યુવાનનું મૃત્યુ થયુ છે.
જોડીયા પંથકમાં મેઘરાજાએ ગઇકાલે આખો દિવસ સચરાચર વરસાદ વરસાવ્યો હતો અને ૧૩૩ મીમી વરસાદ થતા જોડીયામાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા, લોકોએ ગરમીથી રાહત મેળવી હતી, વિજળીના ભારે કડાકા ભડાકાથી લોકોમાં ભયનો માહોલ પણ છવાયો હતો પરંતુ પ્રથમ રાઉન્ડમાં જ મેઘરાજાએ સારો વરસાદ વરસાવતા ખેડુતોમાં આનંદની લાગણી જન્મી છે. જોડીયા પંથકના હડીયાણામાં ૫૦ મીમી, બાલંભા ૩૩, પીઠડ ૪૦, ધ્રોલના લતીપરમાં ૨૫, જાલીયા દેવાણી ૪૫, લૈયારમાં ૨૨ મીમી વરસાદ થયો છે જયારે ધ્રોલમાં ગઇકાલે ફરીથી દોઢ ઇંચ વરસાદ થતા લોકોએ ગરમીથી રાહત મેળવી હતી, ઓછા વરસાદમાં પણ વિજળી રાણી ગુલ થઇ ગઇ હતી.
જામનગર શહેરમાં ગઇકાલે વધુ એક ઇંચ વરસાદ પડયો હતો અને કુલ બે ઇંચ વરસાદ થતા કેટલાક નિચાણવાળા વિસ્તાર જડેશ્ર્વર સોસાયટી, ગોલ્ડન સીટી, મહાવીરનગરમાં પાણી ભરાયા હતા, અસહય બફારા વચ્ચે જામનગરમાં કેટલાક વિસ્તારોમાં વિજળી પણ ગુલ થઇ ગી હતી અને મોસમનો કુલ વરસાદ ૬૫ મીમી થયો છે.
જામનગર તાલુકામાં ગઇકાલે અલીયાબાડામાં ધોધમાર ૩ ઇંચ વરસાદ પડયો હતો, વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતાં, તાલુકાના વસઇમાં ૮ મીમી, લાખાબાવળમાં ૨૨, મોટી બાણુગાર ૭૦, ફલ્લા ૪૧, વંથલી ૫૫, મોટી ભલસાણ ૫૦, દરેડમાં ૨૫ મીમી વરસાદ પડયો હતો.
કાલાવડમાં ગઇકાલે સાંજે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને વિજળીના ભારે કડાકા ભડાકા વચ્ચે દોઢ ઇંચ વરસાદ પડયો હતો ત્યાં મોસમનો કુલ વરસાદ ૬૫ મીમી થયો હતો, આખો દિવસ અસહય ગરમી થયા બાદ સાંજે ભારે વરસાદ થયો છે, ડોળ તો એવો હતો કે ૪ થી ૫ ઇંચ વરસાદ પડશે પરંતુ માત્ર દોઢ ઇંચ વરસાદ પડયો હતો. કાલાવડ પંથકના નિકાવા ૭, ખરેડી ૬, મોટાવડાળા ૨૦, ભલસાણ બેરાજા ૩૦, મોટા પાંચદેવડામાં ૨૨ મીમી વરસાદ પડયો હતો.
જામજોધપુરમાં ગઇકાલે વધુ એક ઇંચ વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત થઇ હતી, અત્યાર સુધીનો કુલ વરસાદ ૫૭ મીમી થયો હતો, આજુબાજુના ગામડાઓમાં પણ અડધાથી એક ઇંચ વરસાદ પડયો હતો, સમાણામાં ૨૧ મીમી, શેઠવડાળા ૫, જામવાડી ૧૪, વાંસજાળીયા ૨૦, ધુનડા ૬, ધ્રાફા ૧૬ અને પરડવામાં ૨૩ મીમી વરસાદ પડયો હતો.
લાલપુરમાં વાતાવરણમાં ભારે પલ્ટો આવ્યા બાદ ગઇકાલે પોણો ઇચ વરસાદ પડયો હતો આજ સવારના છ વાગ્યા સુધીમાં મોસમનો કુલ વરસાદ ૪૨ મીમી થયો હતો, ટોડા ૧૯, પડાણા ૬, ભણગોર ૮, મોટા ખડબા ૧૭, મોડપર ૧૩ અને હરીપરમાં ૩૨ મીમી વરસાદ પડયાના વાવડ સામે આવ્યા છે.
દ્વારકાની વાત લઇએ તો કૃષ્ણનગરી દ્વારકામાં ગઇકાલે મેઘાનો આડંબર રહ્યો હતો, એક તરફ દરીયામાં મોજા ઉછળી રહ્યા હતાં, બીજી તરફ દિવસ દરમ્યાન પોણા બે ઇંચ વરસાદ પડતા કેટલાક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં, અત્યાર સુધીનો વરસાદ ૯૪ મીમી થયો છે, દ્વારકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ એકથી બે ઇંચ વરસાદ પડયો હતો.
ખંભાળીયામાં ગઇકાલે આકાશી વાદળો વચ્ચે વિજળીના કડાકા-ભડાકા થયા હતાં, જોરદાર તુટી પડશે તેવું વાતાવરણ ઉભું થયું હતું, પરંતુ આજે સવારે ૬ વાગ્યા સુધીમાં પોણા બે ઇંચ વરસાદ પડતા મોસમનો કુલ વરસાદ ૬૯ મીમી થયો છે. શહેરના કેટલાક વિસ્તારોમાં ગઇકાલે ફરીથી વિજળી ગુલ થઇ જતાં લોકો ભારે પરેશાન થયા હતાં.
કલ્યાણપુરમાં બે દિવસ પહેલા ભારે વરસાદ થયા બાદ ગઇકાલે વધુ એક ઇંચ વરસાદ પડયો છે, આજુબાજુના પંથકમાં એકથી દોઢ ઇંચ વરસાદ પડયાના વાવડ સામે આવ્યા છે જયારે જામજોધપુરમાં એક ઇંચ વરસાદ પડયો હતો. આજે અને આવતીકાલે જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે ત્યારે વહિવટી તંત્ર સચેત બની ગયું છે.