જામનગર જિલ્લાની ૧૯૪ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં કુલ ૪૧૩ માંથી ૧૦૦ મતદાન મથક સંવેદનશીલ જાહેર કરાયા છે. જ્યારે કાલાવડ તાલુકામાં એક અતિ સંવેદનશીલ મતદાન મથક જાહેર કરાયું છે. સામાન્ય મતદાન મથક ૩ર૪ રહેશે. જિલ્લામાં કુલ ૪ર૬ મતદાન મથકો પર આગામી તા. રર જુનના ગ્રામ પંચાયતની ચૂંટણી માટે બેલેટ પેપરથી મતદાન થશે. સંવેદનશીલ મતદાન મથકો પર ખાસ બંદોબસ્ત રાખવામાં આવશે.
રાજ્ય સહિત જામનગર જિલ્લામાં પણ સમય મર્યાદા પૂર્ણ થઇ ગયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જેમાં કુલ ૩ર૭ ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે. આ ચૂંટણીમાં ફોર્મ ભરવાની તથા પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે. ત્યારે જામનગર જિલ્લામાં ૧૯૪ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાશે, જ્યારે ૬ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી થશે. આ તમામ ગ્રામ પંચાયતો માટે આગામી તા. રર જુનના બેલેટ પેપરથી મતદાન થશે. જિલ્લાની સામાન્ય અને પેટા મળી કુલ ૨૦૦ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ ૪ર૬ મતદાન મથકો રહેશે.
જેમાંથી ૧૦૧ મતદાન મથકો સંવેદનશીલ અને એક મતદાન મથક અતિ સંવેદનશીલ જાહેર કરાયું છે. ૩ર૪ સામાન્ય મતદાન મથકો રહેશે. ૧૯૪ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં ૪૧૩ મતદાન મથકમાંથી ૧૦૦ અને ૬ ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં ૧૩ માંથી ફક્ત ૧ મતદાન મથક સંવેદનશીલ રહેશે. જિલ્લામાં સૌથી વધુ સંવેદનશીલ મતદાન મથક જામનગર તાલુકામાં ૩૧ જાહેર કરાયા છે.
જ્યારે કાલાવડ તાલુકામાં ૧૩, લાલપુર અને જામજોૂધપુર તાલુકામાં ૧૬, ધ્રોલ તાલુકામાં ૧૩ અને જોડિયા તાલુકામાં ૧૧ મતદાન મથકનો સમાવેશ થાય છે. સંવેદનશીલ મતદાન મથક પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવશે. આગામી તા. રર જુનના ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદાન કરવાનું હોય, ઉમેદવારો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે, તો બીજી બાજુ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે.