સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે શહેરના રાજકારણમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. ભાજપ દ્વારા 'તોડજોડની નીતિ' અપનાવવામાં આવશે તેવા ડર અને આશંકા વચ્ચે આમ આદમી પાર્ટી (આપ)એ છેલ્લી ઘડીએ પોતાનો 'પ્લાન-બી' અમલમાં મૂકી દીધો હતો. પક્ષના તમામ 111 ઉમેદવારોને સુરતના છેવાડે આવેલા એક ગુપ્ત અને આલીશાન ફાર્મ હાઉસમાં ખસેડી દેવામાં આવ્યા હતા, જ્યાં તેમને કડક સુરક્ષા વચ્ચે રાખવામાં આવ્યા હતા.
સુરત શહેરની ભાગોળે આવેલા આ ફાર્મ હાઉસને જાણે છાવણીમાં ફેરવી દેવાયું હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું. ફાર્મ હાઉસના મુખ્ય દરવાજા પર પક્ષના અત્યંત વિશ્વસનીય કાર્યકરો તૈનાત કરાયા હતા, જે કોઈ પણ અજાણી વ્યક્તિ કે શંકાસ્પદ વાહનને અંદર પ્રવેશવા દેતા નહોતા. આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, ફાર્મ હાઉસની અંદર ગાઢ વૃક્ષોની પાછળ આવેલા હોલમાં ઉમેદવારોને રાખવામાં આવ્યા હતા જેથી ડ્રોન કે અન્ય કોઈ રીતે બહારની વ્યક્તિ નજર ન રાખી શકે. બપોરે ફોર્મ પરત ખેંચવાની ત્રણ વાગ્યાની ડેડલાઈન પૂરી ન થાય ત્યાં સુધી તમામ ઉમેદવારોના ફોન સ્વીચ ઓફ કરાવી દેવામાં આવ્યા હતા.
ઉમેદવારોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે ફાર્મ હાઉસના એસી બેન્કવેટ હોલમાં હાઈફાઈ સુવિધાઓ ઊભી કરાઈ હતી. સોફા અને કૂલરથી સજ્જ આ હોલમાં ઉમેદવારોના ભોજન માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. જમવામાં ગુજરાતી સ્વાદ પીરસવામાં આવ્યો હતો, જેમાં ફાડા લાપસી, બે પ્રકારના શાક, દાળ-ભાત, છાશ, પાપડ અને સુરતી ખમણની જ્યાફત ઉડાવવામાં આવી હતી. પક્ષની વ્યૂહરચના એવી છે કે સાંજ સુધી કોઈ પણ ઉમેદવાર આ સ્થળ છોડીને બહાર ન નીકળી શકે.