રાજકોટ શહેર પોલીસ તંત્રમાં વહિવટી સુગમતા અને કાર્યક્ષમતામાં વધારો કરવાના હેતુથી એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા એક સાથે 84 જેટલા પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીનો ગંજીપો ચિપાયો છે. આ અચાનક લેવાયેલા નિર્ણયથી પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે, જ્યારે વહિવટી સ્તરે કામગીરીને વધુ ઝડપી અને પારદર્શક બનાવવાનો દાવો કરવામાં આવ્યો છે.

પોલીસ કમિશનરે જારી કરેલા આદેશ મુજબ, પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વિગતવાર સમીક્ષા કરીને એક યાદી તૈયાર કરવામાં આવી હતી. આ બદલી પ્રક્રિયામાં ખાસ કરીને એવા પોલીસ કર્મચારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેઓ છેલ્લા ૩ વર્ષ કે તેથી વધુ સમયથી એક જ પોલીસ સ્ટેશન અથવા એક જ જગ્યાએ ફરજ બજાવી રહ્યા હતા. તંત્રમાં સક્રિયતા જાળવી રાખવા અને એકહથ્થુ શાસન કે વહિવટી શિથિલતા દૂર કરવા માટે આ કર્મચારીઓને પ્રાધાન્ય આપીને તેમની આંતરિક જગ્યાઓ બદલવામાં આવી છે.

શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ મજબૂત બને તેમજ ગુનાખોરી પર અંકુશ મેળવી શકાય તે માટે આ આંતરિક બદલીઓ અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે. નવી જગ્યાઓએ બદલી પામેલા તમામ ૮૪ પોલીસ કર્મચારીઓને તાત્કાલિક અસરથી પોતાનો નવો ચાર્જ સંભાળી લેવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે. આ મોટા પાયે થયેલા ફેરફારથી રાજકોટ શહેર પોલીસની કામગીરીમાં નવી ઊર્જા અને ઝડપ આવશે તેવી સકારાત્મક અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

