જામનગરમાં ઈ-સિટી બસના ૧૨ નવા રૂટ જાહેર કરાયા
જામનગર શહેરમાં જાહેર પરિવહનને વધુ સુવિધાજનક અને પર્યાવરણમૈત્રી બનાવવા માટે ઈ-સિટી બસ સેવાના ૧૨ નવા રૂટ જાહેર કરવામાં આવ્યા છે. નવા રૂટ દ્વારા શહેરના વિવિધ વિસ્તારો તેમજ આસપાસના ગામોને બસ સેવા સાથે જોડવામાં આવ્યા છે. જાહેર કરાયેલા રૂટ મુજબ બસ સેવા સવારે ૬:૩૦ વાગ્યાથી રાત્રે ૯:૩૦ વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે.
જાહેર કરાયેલા નવા રૂટમાં સાત રસ્તા સર્કલથી આમરા ગામ, રામેશ્વરથી મસીતીયા ગામ, સાત રસ્તાથી ચેલા ગામ, સાત રસ્તા સર્કલથી અલીયા ગામ, ઢીંચડાથી ટાઉનહોલ, પોલિટેકનિક કોલેજથી રણજીતસાગર ડેમ, હાપા રેલવે સ્ટેશનથી ગાંધીનગર રેલવે સ્ટેશન, ગોકુલનગરથી ગાંધીનગર રેલવે સ્ટેશન, સાત રસ્તાથી સાત રસ્તા (સર્ક્યુલર રૂટ), દરબારગઢથી દરેડ, આઈ.એન.એસ. વાલસુરાથી દરબારગઢ તથા ખીમલીયા ગામથી દરબારગઢ સુધીના રૂટનો સમાવેશ કરવામાં આવ્યો છે.
નવા રૂટ અમલમાં આવતાં શહેરના મુસાફરો, વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગને વધુ સરળ, સુલભ અને નિયમિત જાહેર પરિવહનની સુવિધા ઉપલબ્ધ બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.