ગુજરાતમાં ચાલુ મોસમ દરમિયાન થઈ રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે રાજ્યના મુખ્ય જળાશયોમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. જળસંપત્તિ વિભાગના અહેવાલ મુજબ રાજ્યના કુલ ૨૦૭ જળાશયોમાં ૫૪ ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે. રાજ્યના ૧૩ ડેમ ૧૦૦ ટકા ભરાયા છે જ્યારે ૨૧ ડેમ માટે 'હાઈ એલર્ટ' પર જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલમાં ૨,૩૧,૩૪૨ એમસીએફટી પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જે તેની કુલ સંગ્રહ ક્ષમતાના ૬૯.૨૫ ટકા જેટલો થાય છે. ડેમમાં હાલ ૩,૨૩૨ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ વર્ષે ૫૪ ટકાની સામે ગત વર્ષે આજના દિવસે રાજ્યના કુલ ૨૦૭ જળાશયોમાં ૬૧ ટકાથી વધુ પાણીનો જથ્થો સંગ્રાયેલો હતો.
જ્યારે નર્મદા ડેમ સિવાયના રાજ્યના ૨૦૬ મુખ્ય જળસંગ્રહ સ્થાનોમાં કુલ ૨,૫૩,૩૩૬ એમસીએફટી જળસંગ્રહ નોંધાયો છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના ૪૫.૪૧ ટકા છે. રાજ્યમાં ૧૩ જળાશયો ૧૦૦ એટલે કે સંપૂર્ણ ભરાયેલા છે. આ ઉપરાંત ૨૬ જળાશય ૯૦થી ૧૦૦ ટકા, ૨૮ જળાશયો ૫૦થી ૭૦ ટકા, ૫૫ જળાશય ૨૫થી ૫૦ તેમજ ૮૪ જળાશયો પચ્ચીસ ટકાથી ઓછા ભરાયેયલા છે. આ ઉપરાંત તંત્ર દ્વારા પાંચ જળાશયો એલર્ટ પર જ્યારે ૧૩ જળાશયો માટે વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે.
દક્ષિણ ગુજરાતના દમણગંગા ડેમમાં સૌથી વધુ ૨૭,૪૧૨ ક્યુસેક પાણીની આવક સામે ૩૭ હજારથી વધુ ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે. જ્યારે ઉકાઈ જળાશયમાં ૧૧,૬૮૯ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આમ રાજ્યમાં હાલની સ્થિતિએ સરદાર સરોવર, દમણગંગા, ઉકાઈ, કરજણ, ધોડાધ્રોઈ, વણાકબોરી, કડાણા, કેલીયા અને જુજ એમ કુલ ૦૯ જળાશયોમાં ૧,૨૦૦થી ૨૭ હજાર ક્યુસેક સુધીની પાણીની આવક નોંધાઈ છે.
રાજ્યમાં સૌથી વધુ મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૫૦ ટકાથી વધુ, સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૪૭ ટકાથી વધુ, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૪૫ ટકા, ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૩૯ ટકાથી વધુ તેમજ કચ્છના ૨૦ જળાશયોમાં સૌથી ઓછો પચ્ચીસ ટકા જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.