જામ્યુકોમાં રપ વર્ષ જુની સિસ્ટમ બંધ: હવે જન્મ-મરણ દાખલા માટે નહીં લગાવવી પડે સ્ટેમ્પ
લોકોની પરેશનીનો અંત: રૂ.૩ની સ્ટેમ્પ રૂ.૧૦થી ૧૫ માં વેંચાતી હતી અને એજન્ટો થતા હતા માલામાલ
જામનગર મહાનગરપાલિકાની જન્મમરણ શાખામાં પહેલેથી જ વિવાદ ચાલી રહ્યો છે, અહીં એજન્ટ રાજ જોરદાર છે, માત્ર રૂ.૩ની ટીકીટ ફોર્મ પર લગાવવાની મળતી નથી અને તેના પણ કાળાબજાર થઇ રહ્યા છે, ત્યારે જામનગર કોર્પોરેશન એક સ્તૃત્ય પગલુ ભરીને જન્મમરણનાં દાખલા કઢાવવામાં ફોર્મમાં રૂ.૩ની સ્ટેમ્પ લગાવવામાં આવતી હતી તેમાંથી હવે લોકોને મુકિત આપી છે કદાચ સોમવારે જ આ પ્રક્યિાનો અમલ થઇ જશે તેમ જાણવા મળે છે.
કોર્પોરેશનના સુત્રોનાં જણાવ્યા અનુસાર રૂ.૩ની ટીકીટ લેવા માટે લોકો દરરોજ આમતેમ ફાંફા મારતા હોય છે માંડ માંડ ટીકીટ મળે છે, કેટલાક એજન્ટ ત્યાં પડયા પાથર્યા રહે છે, તેમની પાસે ટીકીટનો જથ્થો હોય છે અને તેઓ રૂ.૩ની ટીકીટનાં રૂ.૨૦ થી ૨૫ લે છે લોકો કયાં જાય, કારણકે ટીકીટ લગાવવી ફરજીયાત હતી, અને ફોર્મમાં ટીકીટ ન લગાવાય તો દાખલા મળતા ન હતા. આખરે નાનો પણ સ્તુત્ય પગલુ ભરીને કોર્પોરેશને નિર્ણય કર્યો છે કે હવે રૂ.૩ની ટીકીટની કોઇ જરૂર નથી.
એવી ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે એક બે એજન્ટો કોમ્પ્યુટર પર બેઠા હોય છે અને મનમાની કરે છે આ એજન્ટને કોઇ કહેવાવાળુ નથી, જો કે મ્યુ. કમિશનરે તપાસ સમિતિ નીમ્યા બાદ એજન્ટ દેખાયા નથી. ડીએમસી ઝાલાના જણાવ્યા મુજબ એવી કોઇ વ્યકિત ઘ્યાનમાં હોય તો તાત્કાલિક જાણ કરવી, કોઇને પણ આ પ્રકારનું વર્તન કરવાની કે રૂપિયા લેવાની કોઇ સત્તા નથી. આમ હવે જન્મ મરણ શાખાનો જે સર્વરનો પ્રોબ્લેમ છે તે ઝડપથી ઉકેલાય અને લોકોને તેનો લાભ મળે એવું નગરજનો ઇચ્છી રહ્યા છે.