જામનગર: પંડિત દીનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા સશસ્ત્ર સેના ધ્વજદિન ફાળામાં રૂ. 40 લાખનો ચેક અર્પણ
દેશના વીર જવાનો અને તેમના કલ્યાણ અર્થે જામનગર નિવાસી અધિક કલેક્ટરને ચેક સોંપાયો
જામનગર તા.૨૯, દેશની સરહદોની સુરક્ષા તેમજ કુદરતી અને માનવસર્જિત આપત્તિઓના સમયે રાષ્ટ્રસેવામાં સતત તત્પર રહેતા સશસ્ત્ર દળોના જવાનો તથા તેમના પરિવારજનોના કલ્યાણ માટે પંડિત દીનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા ‘સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળ’માં રૂ.40 લાખનું આર્થિક યોગદાન આપવામાં આવ્યું છે.
દીનદયાલ પોર્ટ ઓથોરિટીના અધિકારી દ્વારા આ રૂ. 40 લાખનો ચેક નિવાસી અધિક કલેક્ટર વિમલ ચૌધરી તથા જિલ્લા સૈનિક બોર્ડ, જામનગરના હેડ ક્લાર્ક મનુભાઈ પરમારને વિધિવત રીતે સુપ્રત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સશસ્ત્ર દળોના જવાનો અને તેમના પરિવારજનોના કલ્યાણ અર્થે દીનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા આપવામાં આવેલા આ સહયોગની પ્રશંસા કરવામાં આવી હતી. નોંધનીય છે કે, સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળનો ઉપયોગ દેશના વીર જવાનો, ભૂતપૂર્વ સૈનિકો, શહીદોના પરિવારજનોના પુનર્વસન તેમજ દિવ્યાંગ સૈનિકોના કલ્યાણ અર્થે કરવામાં આવે છે. દીનદયાલ પોર્ટ ઓથોરિટીએ રાષ્ટ્રસેવા અને સામાજિક જવાબદારી પ્રત્યેની પોતાની કટિબદ્ધતા નિભાવતાં આ આર્થિક સહયોગ દ્વારા સશસ્ત્ર દળો પ્રત્યે આદર અને કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી છે.