ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન અભિનંદન વર્ધમાન અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, અભિનંદને વાયુસેના છોડી દીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વર્ધમાન હવે પ્રાદેશિક એરલાઇન ફ્લાય91માં પાઇલટ તરીકે જોડાયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અભિનંદને એક ઓપરેશન દરમિયાન પાકિસ્તાની વાયુસેનાના એફ-16 ફાઇટર જેટને તોડી પાડ્યું હતું. સૂત્રોએ જણાવ્યું છે કે અભિનંદને ઓગસ્ટમાં ગોવા સ્થિત એરલાઇન સાથે પાઇલટ તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું.
અહેવાલો અનુસાર, ફ્લાય91ના પ્રવક્તાએ અભિનંદન વર્ધમાન ક્યાં છે તે અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. પ્રવક્તાએ જણાવ્યું હતું કે કર્મચારીઓની વ્યક્તિગત માહિતી એક ખાનગી બાબત છે. આથી, એરલાઇનમાં અભિનંદનની ભૂમિકા વિશે વધુ વિગતો તાત્કાલિક ઉપલબ્ધ નથી. ફ્લાય91એ માર્ચ 2024માં કામગીરી શરૂ કરી હતી. એરલાઇન પાસે હાલમાં તેના કાફલામાં છ વિમાન છે. ફ્લાય91ના બે ઓપરેશનલ બેઝ છે, જે ગોવા અને હૈદરાબાદમાં સ્થિત છે.
હકિકતમાં, અભિનંદન વર્ધમાન 2019માં પાકિસ્તાની વાયુસેના સાથેના યુદ્ધ પછી ચર્ચામાં આવ્યા હતા. ફેબ્રુઆરી 2019માં પુલવામા આતંકવાદી હુમલાના જવાબમાં, ભારતીય વાયુસેનાએ 26 ફેબ્રુઆરી, 2019ના રોજ પાકિસ્તાનના બાલાકોટમાં આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો. ત્યારબાદ, પાકિસ્તાને પણ ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. 27 ફેબ્રુઆરીના રોજ, પાકિસ્તાને હુમલો કરવા માટે તેના ફાઇટર જેટ મોકલ્યા હતા. જોકે, ભારતીય વાયુસેનાએ તેમને ભગાડ્યા. આ એન્કાઉન્ટર દરમિયાન, અભિનંદને પોતાના મિગ-21 ફાઇટર જેટથી પાકિસ્તાની એફ-16 ફાઇટર જેટને તોડી પાડ્યું હતું. જોકે, અભિનંદનનું વિમાન પણ ક્રેશ થયું હતું. આ પછી, પાકિસ્તાને અભિનંદનને અટકાયતમાં લીધા હતા. જોકે, ભારત સરકારના દબાણને કારણે, પાકિસ્તાને તેને ત્રણ દિવસ પછી છોડી દીધા હતા.
અભિનંદનને 2021માં વીર ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. વીર ચક્ર એ દેશનો ત્રીજો સર્વોચ્ચ યુદ્ધ સમયનો વીરતા પુરસ્કાર છે. અભિનંદનને કર્તવ્ય પ્રત્યે અસાધારણ નિષ્ઠા દર્શાવવા બદલ આ સન્માન એનાયત કરવામાં આવ્યું હતું.