રાજકોટમાં વરસાદ બાદ મચ્છરનો બેફામ ઉપદ્રવ થતા ડેંગ્યૂ ઉપરાંત ગંદકીને કારણે મેલેરિયાના કેસ પણ નોંધાવા લાગ્યા છે. મચ્છરના ઉપદ્રવ અંગે કુલ ૧૩૩૫ સ્થળે ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાંથી ૩૯૩ સ્થળે મચ્છર મળતા નોટિસ ફટકારવામાં આવી હતી.
વિશેષમાં આ અંગે મ્યુનિ.વિકલી હેલ્થ રિપોર્ટ અનુસાર રાજકોટ શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં મેલેરિયાનો એક, શરદી ઉધરસના ૭૮૪, તાવના ૭૯૩, ઝાડા ઉલ્ટીના ૩૦૬ અને કમળાનો એક કેસ સહિત કુલ ૧૮૮૫ કેસ નોંધાયા છે. મચ્છરના ઉપદ્રવની ફરિયાદો મળતા ૭૭૬ ઘરોમાં ફોગીંગ કામગીરી કરાઇ હતી.
મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે, ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૧૩૩૫ પ્રીમાઇસીસ જેમાં બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરેમાં મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં ૧૮૬ અને કોર્મશીયલ ૨૦૭ આસામીને નોટીસ ફટકારી હતી.