ગુજરાતમાં ચાલુ ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદના આગામી રાઉન્ડને લઈને અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી બાદ હવે રાજ્યના વધુ એક જાણીતા જ્યોતિષ શાસ્ત્રી જયપ્રકાશ ભાઈ માઢક દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે. અમરેલી જિલ્લાના લીલીયા ખાતે રહેતા અને જ્યોતિષ ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતા જયપ્રકાશભાઈએ 'આજકાલ' સાથેની ખાસ મુલાકાત દરમિયાન આગામી દિવસોમાં રાજ્યમાં મેઘરાજાની પધરામણી કેવી રહેશે તે અંગે વિગતવાર આગાહી કરી છે.
મળતી વિગતો મુજબ, અમરેલીના લીલીયાના સુપ્રસિદ્ધ લીલાગ્રારા મહાદેવ મંદિરે જ્યોતિષ શાસ્ત્રી જયપ્રકાશ ભાઈ માઢક દર્શનાર્થે પહોંચ્યા હતા. શિવજીના દર્શન અને પૂજા-અર્ચના કર્યા બાદ તેઓએ 'આજકાલ' સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેઓએ ખગોળીય ગણતરીઓ અને જ્યોતિષીય ગ્રહદશાના આધારે આગામી વરસાદી માહોલનું આકલન રજૂ કર્યું હતું.
28 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર વચ્ચે ભારે વરસાદની સંભાવના
આજકાલ સાથેની મુલાકાતમાં જયપ્રકાશભાઈએ જણાવ્યું હતું કે, આગામી તારીખ 28 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘ મહેર જોવા મળશે. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં સારો એવો અને કેટલાક વિસ્તારોમાં અનરાધાર તથા ભારે વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે. આ આગાહીના કારણે ખાસ કરીને ખેડૂત વર્ગમાં ભારે આનંદ અને આશાનું મોજું ફરી વળ્યું છે.
સચોટ આગાહીઓ માટે જાણીતા છે જયપ્રકાશ માઢક
ઉલ્લેખનીય છે કે, જ્યોતિષ શાસ્ત્રી જયપ્રકાશ ભાઈ માઢક આ અગાઉ પણ હવામાન અને ચોમાસાના વિવિધ રાઉન્ડને લઈને અનેક આગાહીઓ કરી ચૂક્યા છે. ભૂતકાળમાં પણ તેમણે કરેલી હવામાન અંગેની તારણો અને આગાહીઓ અક્ષરશઃ સચોટ અને સાચી સાબિત થઈ ચૂકી છે. ત્યારે ઓગસ્ટ મહિનાના અંતમાં અને સપ્ટેમ્બરના પ્રારંભમાં પડાનારા આ વરસાદી રાઉન્ડ અંગેની તેમની નવી આગાહીથી સમગ્ર રાજ્યમાં ભારે કૌતુક અને ઉત્સુકતા જોવા મળી રહી છે.