રાજ્યમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર ઉપર પ્રતિબંધ મૂકીને તંત્ર દ્વારા ઠેરઠેર દરોડા અને ચેકિંગ શરૂ કરવામાં આવ્યા બાદ હવે તેની બીજી અસર ડેરી બજારમાં દેખાવા લાગી છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં અમૂલના બટર અને પનીરની ભારે અછત સર્જાઈ છે. ખાસ કરીને બટરની સ્થિતિ ગંભીર બની છે. સૌરાષ્ટ્રમાં અમૂલ બટરનું સામાન્ય દૈનિક વેચાણ 70થી 80 ટન જેટલું રહે છે, તેની સામે હાલમાં માત્ર 40થી 45 ટન જેટલો જ માલ બજારમાં પહોંચી રહ્યો હોવાનું અમૂલના સૌરાષ્ટ્ર ઝોનના સૂત્રોએ જણાવ્યું છે. આમ રોજની જરૂરિયાત સામે સીધી 30થી 35 ટન જેટલી ઘટ પડી રહી છે.
એનાલોગ પનીર, ચીઝ અને બટર સામે રાજ્ય સરકાર દ્વારા કડક કાર્યવાહી શરૂ થતાં હોટેલ, રેસ્ટોરન્ટ, ફાસ્ટફૂડની દુકાનો અને ખાણીપીણીની લારીઓમાં અસલી ડેરી પ્રોડક્ટ્સનો વપરાશ અચાનક વધી ગયો છે. બીજી તરફ ડેરીઓમાં આવી રહેલા દૂધમાં ફેટનું પ્રમાણ અને ફેટવાળા દૂધની આવક ઘટી હોવાથી બટરનું ઉત્પાદન માગની સરખામણીએ ઘણું ઓછું થઈ ગયું છે. આમ એક તરફ અસલી બટરની માગ વધી રહી છે અને બીજી તરફ ઉત્પાદન માટે જરૂરી દૂધમાં ફેટ જ ઓછી મળી રહી હોવાથી બજારમાં બેવડો દબાણ સર્જાયું છે.
રાજકોટના બટર-પનીરના વિક્રેતાઓ અને સ્ટોકિસ્ટોના જણાવ્યા પ્રમાણે છેલ્લા કેટલાક દિવસથી કંપની તરફથી માગ મુજબ માલ મળી રહ્યો નથી. એક મોટા સ્ટોકિસ્ટે જણાવ્યું હતું કે તેની સાથે 300થી વધુ દુકાનદારો જોડાયેલા છે. અગાઉ રોજના બે થી ત્રણ લાખ રૂપિયા જેટલા બટરનો માલ બુક થતો અને તેની સામે પૂરતો પુરવઠો મળતો હતો, પરંતુ અત્યારે કંપની તરફથી માલ જ ઓછો મળતો હોવાથી માંડ 50 હજાર રૂપિયા જેટલું બુકિંગ લઈ શકાય છે.
અન્ય એક સુપર સ્ટોકિસ્ટના જણાવ્યા પ્રમાણે છેલ્લા કેટલાક દિવસોથી ઉપરથી આવતો માલ એટલો ઓછો છે કે દુકાનદારોને તેમની જરૂરિયાત પ્રમાણે બટર અને પનીર આપી શકાતું નથી. કેટલાક વેપારીઓને ઓર્ડરનો અડધો માલ પણ મળતો નથી. પરિણામે છૂટક બજાર ઉપરાંત હોટેલ અને રેસ્ટોરન્ટ સુધી તેની અસર પહોંચવા લાગી છે.
અમૂલના સૌરાષ્ટ્ર ઝોન સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા પ્રમાણે અત્યારે સૌથી મોટી મુશ્કેલી દૂધની કુલ આવક કરતાં તેમાં રહેલા ફેટની છે. બટર બનાવવા માટે જરૂરી ફેટવાળા દૂધની આવક ઘણી ઓછી થઈ છે. તેના કારણે ઉત્પાદન સીધું અસરગ્રસ્ત થયું છે. બીજી તરફ એનાલોગ સામેની કાર્યવાહી બાદ બટર અને પનીર બંનેની માગ વધી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે એકથી બે મહિના પહેલાં રાજકોટ-સૌરાષ્ટ્રના બજારમાં અમૂલનું પનીર સરેરાશ 12થી 14 ટન રોજ વેચાતું હતું. હવે આ વેચાણ વધીને લગભગ 16 ટન રોજ થયું છે. એટલે પનીરની દૈનિક માગમાં બે થી ચાર ટનનો વધારો થયો છે. જૂના વેચાણના નીચલા સ્તર 12 ટન સાથે સરખાવીએ તો વધારો લગભગ 33 ટકા અને 14 ટન સાથે સરખાવીએ તો લગભગ 14 ટકા થાય છે.
પરંતુ સૌથી મોટી તંગી બટરમાં છે. સૌરાષ્ટ્રમાં સામાન્ય રીતે રોજ 70થી 80 ટન જેટલા અમૂલ બટરનું વેચાણ થાય છે. તેની સામે અત્યારે કંપની માત્ર 40થી 45 ટન જેટલો પુરવઠો કરી શકે તેવી સ્થિતિ છે. એટલે દૈનિક ધોરણે લગભગ 30થી 35 ટન માલ ઓછો પડી રહ્યો છે. સામાન્ય પુરવઠાની સરખામણીએ આ ઘટ આશરે 40થી 50 ટકા સુધી પહોંચે છે.
અમૂલના સૂત્રોએ જણાવ્યું હતું કે, “અત્યારે કંપનીમાં ફેટવાળા દૂધની આવક ખૂબ ઓછી છે. તેના કારણે બટરનું ઉત્પાદન માગ પ્રમાણે થઈ શકતું નથી. બીજી તરફ એનાલોગ પ્રોડક્ટ્સ સામે કાર્યવાહી પછી અસલી બટર અને પનીરની માગ વધી છે. આ બંને કારણો સાથે આવતાં બજારમાં અછત સર્જાઈ છે.”
રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય શહેરોમાં પણ વિક્રેતાઓને પૂરતો માલ મળતો ન હોવાની ફરિયાદો સામે આવી રહી છે. ખાસ કરીને હોટેલ, રેસ્ટોરન્ટ, બેકરી, પાવભાજી, દાબેલી, સેન્ડવિચ અને અન્ય ફાસ્ટફૂડના વ્યવસાયમાં બટરનો મોટો વપરાશ હોવાથી પુરવઠાની ઘટની અસર આ વ્યવસાય ઉપર વધુ પડી શકે છે.
300 દુકાનદારોના સ્ટોકિસ્ટનું બુકિંગ ત્રણ લાખથી ઘટીને 50 હજાર
બટરની અછત કેટલી ગંભીર છે તેનો અંદાજ રાજકોટના એક સ્ટોકિસ્ટના આંકડા પરથી પણ આવી શકે છે. આ સ્ટોકિસ્ટ સાથે 300થી વધુ દુકાનદારો જોડાયેલા છે. અગાઉ રોજે બે થી ત્રણ લાખ રૂપિયા જેટલા બટરનું બુકિંગ થતું હતું, પરંતુ પૂરતો માલ ન મળતાં હવે માત્ર આશરે 50 હજાર રૂપિયાનો ઓર્ડર લઈ શકાય છે. એટલે ગ્રાહકોની માગ ઘટી નથી, માલ ન મળવાને કારણે પૂરા કરી શકાય તેવા ઓર્ડરનું મૂલ્ય 75થી 83 ટકા જેટલું ઘટ્યું છે.
ભાવ નહીં વધે, ચિંતા ન કરશો
ફેટની આવક ઘટી છે, ઉત્પાદન ઓછું છે અને બજારમાં માગ વધી છે ત્યારે બટરના ભાવ વધશે કે કેમ તે અંગે અમૂલના સૌરાષ્ટ્ર ઝોનના સૂત્રોએ હાલ ભાવવધારાની શક્યતા ઓછી ગણાવી છે. તેમના જણાવ્યા પ્રમાણે ડેરી ઉદ્યોગમાં આવી સ્થિતિ એકાદ-બે વર્ષના અંતરે સર્જાતી રહે છે. ડેરી પ્રોડક્ટ્સ સંપૂર્ણપણે પશુઓના દૂધ અને તેમાં મળતા ફેટ ઉપર આધારિત હોવાથી ઋતુ પ્રમાણે દૂધની આવક અને ફેટનું પ્રમાણ બદલાતું રહે છે. ખાસ કરીને ચોમાસામાં ફેટની ઉપલબ્ધતા ઘટે ત્યારે બટર સહિતના ઉત્પાદનોના ઉત્પાદનને અસર થાય છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આવી સ્થિતિ ચારથી છ મહિના સુધી પણ રહી શકે છે. જોકે અમૂલ સહકારી સંસ્થા હોવાથી માત્ર હાલની અછતને કારણે તાત્કાલિક ભાવવધારો કરવામાં આવે તેવી શક્યતા અત્યારે દેખાતી નથી.