ધોરાજીમાં જૈન ધર્મના પવિત્ર તહેવાર પર્વાધિરાજ પર્યુષણ પર્વની ધાર્મિક ભાવના અને ભક્તિપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પર્યુષણ પર્વ અંતર્મુખ બનીને કષાયોને શાંત કરી આત્મશુદ્ધિ કરવાનો સંદેશ આપે છે. પર્યુષણના આઠ દિવસ દરમિયાન જૈન શ્રાવક-શ્રાવિકાઓ દ્વારા ઉપવાસ, એકાસણા તથા આંબિલ જેવી કઠિન તપશ્ચર્યા કરવામાં આવી હતી. IMG_4880.jpeg સંવત્સરી પર્વ નિમિત્તે વર્ષ દરમિયાન થયેલી ભૂલો બદલ એકબીજા પાસે ક્ષમા માંગી ‘મિચ્છામિ દુક્કડમ’ પાઠવવામાં આવ્યું હતું. આ નિમિત્તે ધોરાજીમાં અઠ્ઠાઈ તપ કરનારા આરાધકોનો ભવ્ય વરઘોડો યોજાયો હતો. શહેરના મુખ્ય જૈન દેરાસરથી પ્રારંભ થયેલો વરઘોડો વિવિધ માર્ગો પરથી ફરી સ્ટેશન રોડ સ્થિત જૈન મંદિર ખાતે સંપન્ન થયો હતો. વરઘોડામાં ધોરાજી તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા હતા અને દિવસભર ધાર્મિક આરાધના કરવામાં આવી હતી.