દેશમાં ફાર્મસી શિક્ષણના સ્તરમાં સુધારો કરવા અને શૈક્ષણિક સંસ્થાઓમાં સ્થિરતા સુનિશ્ચિત કરવાના હેતુથી 'ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા' દ્વારા એક અત્યંત મોટો અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. ફાર્મસી એક્ટ, ૧૯૮૭ અંતર્ગત જાહેર કરાયેલી આ નવી નીતિ મુજબ, શૈક્ષણિક વર્ષ ૨૦૨૭-૨૦૨૮થી ભાડા કે લીઝ પર લીધેલા મકાનમાં નવી ફાર્મસી કોલેજ શરૂ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.હવે નવી સંસ્થા શરૂ કરવા માટે ટ્રસ્ટ કે કંપની પાસે પોતાની માલિકીની જમીન અને મકાન હોવું અનિવાર્ય રહેશે. આ ઉપરાંત હાલ ભાડાના મકાનમાં ચાલતી ફાર્મસી કોલેજને આગામી 6 વર્ષમાં પોતાનું મકાન બનાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે.
શૈક્ષણિક સ્થિરતા અને સુવિધાઓ માટે કડક નિયમો પીસીઆઈ દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં સામે આવ્યું હતું કે ભાડા કે લીઝની જગ્યાઓમાં ચાલતી સંસ્થાઓને કારણે શિક્ષણની ગુણવત્તા પર વિપરીત અસર પડે છે. ભાડાપટો રદ થવાનો ભય, મકાન ખાલી કરાવવાનું જોખમ અને પ્રયોગશાળા (લેબોરેટરી), રિસર્ચ સેન્ટર તથા અન્ય સાધન-સામગ્રીના વિકાસમાં નડતી મર્યાદાઓને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસમાં સતત અસ્થિરતા રહે છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને સંસ્થાકીય માલિકીના કડક ધોરણો અમલી બનાવવામાં આવ્યા છે.
હાલની કોલેજો માટે ૬ વર્ષની મુદત અને ભૌગોલિક અંતરના નિયમો જે કોલેજો હાલમાં ભાડાની જગ્યાઓમાં ચાલી રહી છે, તેમણે આગામી ૬ વર્ષની અંદર પોતાનું કાયમી મકાન વસાવી લેવું પડશે અથવા માન્યતા ગુમાવવી પડશે.
આ ઉપરાંત, નવી નીતિ અંતર્ગત ભૌગોલિક અંતરના નિયમો પણ કડક કરવામાં આવ્યા છે:
મેદાની પ્રદેશોમાં હયાત કોલેજની ૫ કિલોમીટરની ત્રિજ્યામાં નવી ફાર્મસી કોલેજ મંજૂર થશે નહીં.
પહાડી વિસ્તારોમાં આ અંતર ૨ કિલોમીટરની ત્રિજ્યાનું રહેશે.એક જ ઈમારતમાં એક કરતાં વધુ ફાર્મસી કોલેજો ચલાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
નવી નીતિના અમલ માટે પીસીઆઈ દ્વારા જમીન અને મકાનના રજિસ્ટર્ડ તથા કાયદેસરના દસ્તાવેજોની આકરી ચકાસણી કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં શિક્ષણ વ્યવસ્થા વધુ પારદર્શક અને મજબૂત બને.