અમદાવાદની કાળજું કંપાવતી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ભાણવડના વતની એવા માતા-પુત્રની આજે અંતિમ યાત્રા નીકળતા ભારે શોકનો માહોલ સર્જાયો હતો, લંડનથી આવેલા સ્વજનોએ ભારે હૈયે વ્હાલસોયાઓને વિદાય આપી હતી, ગઇરાત્રે ડીએનએ ટેસ્ટીંગ બાદ મૃતદેહની સોંપણી થઇ હતી અને આજે સવારે ભાણવડમાં અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો પણ જોડાયા હતા.
લંડન સ્થાયી થયેલા મુળ ભાણવડના રિઘ્ધિબેન ગોઢાણીયા પોતાના ૩ વર્ષના પુત્ર ક્રીયાંશ સાથે આવ્યા હતા અને એકાદ માસ સુધી અહીં રોકાયા હતા, અહીં એમણે દાંતની પણ સારવાર લીધી હતી અને વતનથી પરત લંડન જવા રવાના થયા હતા. અમદાવાદમાં એર ઇન્ડિયાના ક્રેશ થયેલા બોઇંગ વિમાનમાં માતા-પુત્ર બેઠા હતા, આ દુર્ઘટનામાં ભોગ બન્યા હતા. આ અહેવાલો અહીં પહોંચ્યા બાદ ભાણવડમાં ભારે શોકની લાગણી ફેલાઇ હતી. મૃત્તદેહોની સ્થિતિ એવી હતી કે ઓળખ થઇ શકે એમ ન હોવાથી ડીએનએ કરવામાં આવ્યા હતા.
અન્ય કમભાગીઓની જેમ રિઘ્ધિબેન અને ક્રીયાંશના ડીએનએ ટેસ્ટ માટે હરીશભાઇ ગોઢાણીયા લંડનથી આવ્યા હતા અને ડીએનએ મેચ થઇ ગયા બાદ ગઇરાત્રે અમદાવાદ સીવીલ હોસ્પિટલ તરફથી રિઘ્ધિબેન અને ક્રીયાંશના મૃત્તદેહ હરીશભાઇને સોંપવામાં આવ્યા હતા. એમણે વતન એવા ભાણવડ ખાતે જ અંતિમ વિધિ કરવાનું નક્કી કર્યું હતું અને તેઓ આજે સવારે મૃત્તદેહ સાથે તેઓ આવ્યા હતા, ત્યારબાદ અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી.
ભાણવડ ખાતેના તેમના નિવાસસ્થાન વાડી વિસ્તાર, ભૂતવડ મંદિર પાસેથી અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં હરીશભાઇ ગોઢાણીયાની સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા, જેમાં નગરપાલિકાના પ્રમુખ પ્રિયેશભાઇ અનડકટ, ડીવાયએસપી માનસેતા, ટીડીઓ નવીનભાઇ બડીયાવદરા, પ્રાંત અધિકારી કે.કે. કરમટા, મામલતદાર અશ્ર્વિનભાઇ ચાવડા સહિતના અધિકારીઓનો સમાવેશ થાય છે.
રિઘ્ધિબેનને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો, જ્યારે ૩ વર્ષના માસુમ ક્રિયાંશની દફનવિધિ કરવામાં આવી હતી અને આ સમયે એક પિતા તરીકે હરીશભાઇ પર દુ:ખનો ડુંગર તૂટી પડ્યો હતો, એકાદ માસ પહેલા જ્યારે એમના પત્ની પુત્ર સાથે વતન આવ્યા હતા ત્યારે એમણે સ્વપ્નામાં પણ નહીં વિચાર્યું હોય કે, જ્યારે તેઓ બન્નેને પરત લેવા જશે ત્યારે નિષ્પ્રાણ થઇ જશે.
આમ, પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અનેક પરિવાર જ્યારે તબાહ થઇ ગયા છે ત્યારે ભાણવડના લંડન સ્થાયી થયેલો હસતો રમતો પરિવાર પણ વિખેરાઇ ગયો છે, ગ્રામજનો દ્વારા હરીશભાઇને સાંત્વના આપવામાં આવી હતી.