જામનગર જિલ્લામાં વિવિધ 8 કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાશે
જિલ્લાના 1.02 લાખથી વધુ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું
ગુજરાત સરકારની ખેડૂતલક્ષી નીતિના ભાગરૂપે ગઈકાલથી જામનગર જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો છે.જે અન્વયે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે હાપા માર્કેટિંગ યાર્ડની મુલાકાત લઈ સમગ્ર વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

કલેક્ટર ઠક્કરે જણાવ્યું હતું કે, આજથી જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરાયો છે. સાથે જ, ખેડૂતોને સરળતા રહે તે માટે જામનગર જિલ્લાના છ તાલુકાઓના વિવિધ આઠ કેન્દ્રો ખાતે પણ સમાંતર રીતે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. સમગ્ર જિલ્લામાં 1.02 લાખથી વધુ ખેડૂતોએ આ લાભ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

સરકાર દ્વારા મગફળી માટે મણ દીઠ રૂ.1452 નો પોષણક્ષમ ભાવ ચૂકવવામાં આવી રહ્યો છે. તંત્ર દ્વારા આ અંગેની તમામ વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરીને સુંદર વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. આગામી 90 દિવસ સુધી તમામ કેન્દ્રો પરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે.સાથે જ જો જરૂર જણાશે તો ખરીદી કેન્દ્રોનો વધારો કરવામાં આવશે, જેથી ખેડૂતોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે અને તેઓ સરળતાથી પોતાનો પાક વેચી શકે.

મુલાકાત દરમિયાન, કલેક્ટર કેતન ઠક્કરે યાર્ડમાં ઉપસ્થિત ખેડૂતો સાથે રૂબરૂ સંવાદ પણ કર્યો હતો. તેમણે ખરીદીની વ્યવસ્થા અંગે ખેડૂતોના પ્રતિભાવો જાણ્યા હતા. ખેડૂતોએ ટેકાના ભાવે ખરીદી શરૂ થવા બદલ અને સુવ્યવસ્થિત આયોજન બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો. કલેક્ટરએ ખેડૂતોને જણાવ્યું હતું કે, સરકાર ખેડૂતોના હિત માટે કટિબદ્ધ છે અને ખરીદી દરમિયાન કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તેની સંપૂર્ણ કાળજી લેવામાં આવશે....