BREAKING NEWS

ભરનીંદ્રામાં લોકો સફાળા જાગી ઘરની બહાર દોડ્યા, મોડી રાત્રે કચ્છમાં 3.3ની તીવ્રતાનો ભૂકંપ

  • August 24, 2026 09:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કચ્છ જિલ્લામાં ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધરા ધ્રૂજી ઊઠતાં સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. મોડી રાત્રે જ્યારે મોટાભાગના લોકો નિદ્રાધીન હતા ત્યારે અચાનક અનુભવાયેલા ભૂકંપના આંચકાને કારણે લોકો ભયના માર્યા ઘરોની બહાર દોડી આવ્યા હતા. આ આંચકો રાત્રિના ૧:૩૦ કલાકે નોંધાયો હતો, જેના કારણે ભચાઉ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ક્ષણભર માટે ભારે અફરાતફરી અને ગભરાટનો માહોલ સર્જાયો હતો.


સિસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૩.૩ની માપવામાં આવી છે. સિસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટર દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી માત્ર ૨૧ કિલોમીટર દૂર નોંધાયું હતું. ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનની અંદર 15.3 કિલોમીટર ઊંડાઈએ હોવાના કારણે આંચકાની તીવ્રતા આસપાસના વિસ્તારોમાં સ્પષ્ટપણે અનુભવાઈ હતી.


રાત્રિના સમયે અચાનક ઘરના વાસણો, પંખા અને બારી-બારણાં ધ્રૂજવા લાગતાં જાગી ગયેલા લોકો પોતાના પરિવારજનોની સુરક્ષાને ધ્યાને રાખીને ખુલ્લા મેદાનમાં દોડી ગયા હતા. ખાસ કરીને બહુમાળી ઈમારતોમાં રહેતા લોકોમાં ભારે ફફડાટ જોવા મળ્યો હતો. સદ્ભાગ્યે આ ભૂકંપને કારણે કોઈ મોટી જાનહાનિ કે માલમત્તાને નુકસાન થયાના સમાચાર પ્રાપ્ત થયા નથી, જેનાથી તંત્ર અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

ઉલ્લેખનીય છે કે કચ્છ જિલ્લો ભૂકંપની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ એટલે કે ‘ઝોન-5’ માં આવે છે. ભૂતકાળમાં વર્ષ ૨૦૦૧માં આવેલા વિનાશક ભૂકંપની ભયાનક યાદો આજે પણ લોકોના માનસપટ પર તાજી હોવાથી, નાનો આંચકો પણ સ્થાનિકોમાં જૂનો ડર તાજો કરી દે છે. વારંવાર આવતા ભૂકંપના આંચકાઓને પગલે સ્થાનિક વહીવટી તંત્ર પણ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને લોકોને ભૂકંપ સમયે સાવચેતી રાખવા અપીલ કરી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application