BREAKING NEWS

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના પાણી પ્રશ્ને સરકાર ચિંતિત; ઇશ્વરસિંહ અને વાઘાણી વચ્ચે મિટિંગ

  • August 26, 2026 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પાણી પ્રશ્ને સરકાર ચિંતિત બની છે. ખાસ કરીને ઓછા વરસાદ અને ખાલી રહેલા જળાશયોથી ચિંતાના વાદળો ઘેરાયા છે. સામાન્ય રીતે સપ્ટેમ્બર માસના અંતે તૈયાર થતું પાણી વિતરણનું વાર્ષિક આયોજન આ વર્ષે વહેલું તૈયાર કરવું પડે સ્થિતિ સર્જાઇ છે. દરમિયાન ગઇકાલે આ મામલે રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઇશ્વરસિંહ પટેલ અને રાજકોટના પ્રભારી તેમજ કૃષિ અને સહકાર મંત્રી જીતુભાઇ વાઘાણી વચ્ચે એક મહત્વપૂર્ણ મિટિંગ મળી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.

રાજકોટ સહિત અડધા સૌરાષ્ટ્ર અને સમગ્ર કચ્છમાં સરેરાશથી પણ ઓછો વરસાદ વરસ્યો હોય હવે પીવાના પાણી અને સિંચાઇ માટે નર્મદા નીર ઉપર જ અવલંબિત રહેવું પડશે. હાલ રાજકોટ શહેરને કોરાણે મૂકીને જામનગર, દ્વારકા અને પોરબંદર જિલ્લાના જળાશયોમાં સૌની યોજનાની લિંક-૩ હેઠળ નર્મદાનીર ઠાલવવાનું શરૂ કરાયું છે.

ચોમાસાના અઢી મહિના વિતી જવા છતાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સંતોષકારક વરસાદ નહીં વરસતા રાજકોટ મહાપાલિકા અને રાજકોટ સિંચાઇ વર્તુળ હેઠળના સૌરાષ્ટ્રના કુલ ૮૩માંથી ૫૭ ડેમની જળ સપાટી હજુ પચાસ ટકા કે તેથી પણ ઓછી છે.

રાજકોટને પીવાનું પાણી પૂરૂં પાડતા ડેમના ઉપરવાસમાં પર્યાપ્ત વરસાદ વરસ્યો ન હોય આજી-૧, ન્યારી-૧ અને ભાદર-૧ ડેમ ઓવરફ્લો થવાનું તો દૂર પૂર્ણ સપાટી સુધી ભરાયા પણ નથી. આ સંજોગોમાં રાજકોટમાં આવતા ચોમાસા સુધી મતલબ કે જૂન-૨૦૨૭ સુધી દૈનિક ૨૦ મિનિટ પાણી વિતરણ જાળવી રાખવા માટે રાજકોટ મહાનગરપાલિકાએ સરકારમાં પત્ર પાઠવીને આજી અને ન્યારી ડેમમાં કુલ ૪૦૦૦ એમસીએફટી નર્મદાનીર ઠાલવવા માંગણી રજૂ કરાઇ છે.

રાજકોટના જળાશયોની આજની સ્થિતિ

ડેમ કુલ ઉંડાઇ હાલની સપાટી

આજી-૧ ૨૯.૦૦ ફૂટ ૨૦.૯૦ ફૂટ

ન્યારી-૧ ૨૫.૧૦ ફૂટ ૧૫.૩૦ ફૂટ

ભાદર-૧ ૩૪.૦૦ ફૂટ ૧૮.૪૦ ફૂટ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application